અમદાવાદઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમમાંથી રોહિત શર્મા ખસી ગયો છે. રોહિત શર્માના સ્થાને ગુજરાતના બેટસમેન પ્રિયાંક પંચાલનો ભારતની ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલાં ઇંગ્લેન્ડ સામેની 2021ના પ્રારંભે રમાયેલી શ્રેણીમાં તે ભારતનો સ્ટેન્ડ બાય ક્રિકેટર હતો. અમદાવાદમાં જન્મેલ પ્રિયાંક પંચાલ શહેરની હિરામણી સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને  કિશોર વયે આ સ્કૂલમાં જ તૈયાર થયો હતો.


સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડેની શ્રેણી ભારતીય ટીમ રમવા જવાની છે. આ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સોમવારે મોડી સાંજે ડાબા સાથળના સ્નાયુની ઇજાને લીધે અનફિટ જાહેર થતાં તેના સ્થાને પ્રિયાંક પંચાલને ટીમ સાથે જોડાવવા ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે.


પ્રિયાંક પંચાલે હજુ થોડા દિવસો પહેલા જ સાઉથ આફ્રિકા એ સામે ભારત એ ટીમના કેપ્ટન તરીકે પ્રવાસ ખેડયો હતો, પ્રિયાંકે પ્રથમ ટેસ્ટમાં ઓપનર તરીકે તેણે 171 બોલમાં 14 ચોગ્ગા સાથે 96 રન ફટકાર્યા હતા.


31 વર્ષીય પ્રિયાંક પંચાલ સ્થાનિક ક્રિકેટમાં 2003-2004 થી રમે છે. અંડર-15ની ગુજરાત ટીમથી શરૂઆત કરનારા પ્રિયાંકે અત્યાર સુધી તમામ ફોર્મેટમાં મોટા પ્રમાણમાં રન કર્યા છે. એક રણજી સિઝનમાં 1000 રન ફટકારનાર કે ત્રેવડી સદી ફટકારનાર તે ગુજરાતનો એક માત્ર ખેલાડી છે. પાર્થિવ પટેલના નેતૃત્વમાં ગુજરાત 2016-2017માં રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યો તે વર્ષે 10 મેચોમાં 1310 રન સાથે પ્રિયાંકનું મોટુ યોગદાન હતું.


પ્રિયાંક પંચાલને વિજય હઝારે, દુલીપ ટ્રોફીના ફોર્મની તાકાતથી ઇન્ડિયા બી ટીમ અને તે પછી ઇન્ડિયા એ ટીમનો કેપ્ટન બનાવાયો હતો. લિસ્ટ એ ની પ્રથમ મેચ વિજય હઝારે ટ્રોફી 2008માં અને તે પછીની સિઝનમાં રણજી ટ્રોફી સાથે ફર્સ્ટ કલાસ ક્રિકેટનો પ્રારંભ કર્યો હતો. 100 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7011 રન 45.52 ની સરેરાશથી બનાવ્યા છે. જેમાં 24 સદી અને 24 અર્ધી સદીનો સમાવેશ થાય છે. 314* અણનમ તેનો ટોપ સ્કોર છે.