ન્યૂઝિલેન્ડ સામેની સેમિફાઇનલમાં વરસાદની આગાહી, ભારતનો હાથ ઉપર, વરસાદ પડે તો કેમ થાય ફાયદો?
abpasmita.in | 07 Jul 2019 11:26 AM (IST)
બ્રિટિશ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ માંન્ચેસ્ટરમાં મોટાભાગના વિસ્તારમાં વાદળ છવાયેલા રહેશે
નવી દિલ્હીઃ વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે 9 જૂલાઇના રોજ માંન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. આ મેચમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્રિટિશ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ માંન્ચેસ્ટરમાં મોટાભાગના વિસ્તારમાં વાદળ છવાયેલા રહેશે. અહી તાપમાન મહતમ 20 ડિગ્રી સેલ્સિયસ રહેશે. સાથે હવામાન વિભાગે આગાહી કરી હતી કે મંગળવારના રોજ અહી હળવો વરસાદ વરસી શકે છે. જોકે, પ્રથમ સેમિફાઇનલમાં વરસાદ વરસે તો ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર રહશે. આ પાછળનું કારણ એ છે કે જો 9 જૂલાઇના રોજ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવે તો રિઝર્વ ડે એટલે કે બીજા દિવસે મેચ રમાડવામાં આવશે પરંતુ જો વરસાદના કારણે બીજા દિવસે એટલે કે 10 જૂલાઇનો દિવસ પર ધોવાઇ જાય તો બંન્ને ટીમમાંથી જે ટીમના પોઇન્ટ સૌથી વધુ હશે તે ફાઇનલમાં પહોંચશે. આ રીતે જોઇએ તો ટીમ ઇન્ડિયા 15 પોઇન્ટ ધરાવે છે જ્યારે ન્યૂઝિલેન્ડ 11 પોઇન્ટ ધરાવે છે ત્યારે વધારે પોઇન્ટ હોવાના કારણે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી જશે.