મુકાબલા બાદ મેરી કોમ નિખત સાથે હાથ મિલાવ્યા વગર જ રિંગમાંથી બહાર જતી રહી હતી. બાદમાં મેરીએ કહ્યું કે, “મે તેની (નિખત) સાથે શા માટે હાથ મિલાવું, તેણે સન્માન મેળવવા માટે બીજાનું સન્માન કરવું જોઈતું હતું. તેણે પોતાને રિંગમાં સાબિત કરવાનું હતું ના કે રિંગની બહાર. ”
મેરીકૉમે કહ્યું, “મે વિવાદ ઉભો કર્યો નથી. મે એવું ક્યારેય નથી કહ્યું કે હું ટ્રાયલ માટે નહીં આવું. તેથી કોઈ મારા પર આરોપ લગાવે તે હું સહન નથી કરી શકતી. આ મારી ભૂલ નહોતી અને મારું નામ તેમાં ઘુસાડવું જોઈએ નહીં.”
ઝરીને કહ્યું, “તેણે મારી સાથે કેવો વ્યવહાર કર્યો, તેનાથી હું દુખી છું. તેમણે રિંગની અંદર પણ કેટલાક અપશબ્દ બોલ્યા હતા, પરતું ઠીક છે.” તેમણે કહ્યું હું જુનિયર છું, મુકાબલો ખતમ થયા બાદ જો તેઓ ગળે મળ્યા હોત તો સારું. પરંતુ હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી.
જ્યારે પરીણામ જાહેર થયા ત્યારે ઝરીનના ઘરેલુ રાજ્ય તેલંગણા મુક્કેબાજી સંઘના કેટલાક પ્રતિનિધિઓએ તેનો વિરોધ કર્યો હતો. ભારતીય મુક્કેબાજી મહાસંઘના અધ્યક્ષ અજય સિંહે વચ્ચે પડીને સ્થિતિને નિયંત્રિણમાં રાખી હતી. તેલંગણા મુક્કેબાજી સંઘના પ્રતિનિધિત્વ કરી રહેલા એપી રેડ્ડીએ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો.
નિખતની લડાઈ બીએફઆઈ અધ્યક્ષ અજય સિંહના તે નિવેદનથી શરૂ થઈ હતી. જેમાં તેમણે નિયમોમાં ફેરફાર કરી મેરી કોમને સીધા જ ઑલમ્પિક ક્વૉલિફાયરમાં મોકલવાની વાત કરી હતી. નિખત તેના વિરુદ્ધ ગઈ હતી અને સફળ પણ થઈ. તેની લડાઈએ મહાસંઘને પોતાનો નિર્ણય બદલવા અને જૂના નિયમો પર પરત આવવા મજબૂર કરી દીધાં હતા.