હૈમિલ્ટનઃ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ટીમે  હારેલી બાજી જીતી લીધી હતી. વિજેતાનો નિર્ણય સુપરઓવરમાં થયો હતો જેમાં ટીમ ઇન્ડિયાએ 18 રન બનાવી મેચ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાના ઓપનર રોહિત શર્માએ સુપર ઓવરના છેલ્લા બે બોલમાં સિક્સ ફટકારી મેચ જીતાડી હતી. રોહિત શર્માએ મેચમાં 40 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી આ માટે તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો. જોકે, રોહિત શર્માનું માનવું છે કે ભારતીય ટીમની જીતના  અસલી હીરો તે નહી પરંતુ ઝડપી બોલર મોહમ્મદ શમી છે. રોહિતે કહ્યું કે, મોહમ્મદ શમીએ જે રીતે અંતિમ ઓવરમાં બાજી પલટી તેના કારણે મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી અને અંતમાં  ભારત જીત્યો હતો.


ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, ટીમની જીત મોહમ્મદ શમીએ નક્કી કરી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મને લાગે છે કે શમીની અંતિમ ઓવર ખૂબ મહત્વની છે. આ કારણે અમે મેચ જીત્યા નહી કે મારી બે  સિક્સના કારણે. તે શમીની ઓવર હતી જેમાં અમે નવ ઓવર બચાવ્યા છે. તે એટલું સરળ નહોતું. વિકેટ સારી હતી. બે અનુભવી બેટ્સમેન ક્રિઝ પર હતા. એક બેટ્સમેન 95 રન પર રમી રહ્યો હતો અને બીજો બેટ્સમેન સૌથી અનુભવી ખેલાડી હતો. એટલા માટે હું શમીને સલામ કરું છું કે તેણે ટીમની વાપસી કરાવી હતી અને મેચને સુપર ઓવર સુધી લાવ્યો હતો.