મંકીગેટ વિવાદઃ હરભજને આપ્યો સાયમંડ્સને વળતો જવાબ, કહ્યું- લેખક બની ગયો છે, સ્ટોરી વેચી રહ્યો છે
હરભજન સિંહે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
હરભજને ટ્વિટ કરીને કહ્યું કે, ક્યારે થયું હતું આમ......? રડવા લાગ્યો.....? કોના માટે ?
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં ચાલી રહેલી ટેસ્ટ સીરિઝ દરમિયાન મંકીગેટ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. સાયમંડ્સે આ વિવાદ અંગે બોલતાં કહ્યું હતું કે, હરભજન સિંહે રડતાં રડતાં તેની માફી માંગી હતી. જેના પર હરભજને ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે.
હરભજને લખ્યું કે, મારા મત પ્રમાણે સાયમંડ્સ સારો ક્રિકેટર હતો પરંતુ હવે તે એક સારો ફિક્શન રાઇટર બની ગયો છે. તેણે તે સમયે (2008) પણ સ્ટોરી વેચી હતી અને હવે (2018) પણ સ્ટોરી વેચી રહ્યો છે. મિત્રો, 10 વર્ષોમાં દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે. તમે પણ મોટા થઈ જાવ તેવો આ સમય છે.
સાયમંડ્સે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તે રડવા લાગ્યો હતો અને મેં જોયું કે આ ઘટનાને લઈ તેના પર ઘણો ભાર છે. તે આ મામલો ખતમ કરવા માંગે છે. અમે હાથ મિલાવ્યા, ગળે ભેટ્યા અને કહ્યું, મિત્ર બધું બરાબર છે. આ મામલો ખતમ.
હરભજન હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં કોમેન્ટેટર તરીકે કાર્યરત છે.
વર્ષ 2008માં સિડની ટેસ્ટ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં હરભજન સિંહ પર સાયમંડ્સને વાંદરો કહેવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાના એક દાયકા બાદ સાયમંડ્સે કહ્યું કે, ત્રણ વર્ષ બાદ તે આ મામલાને ખતમ કરી દીધો હતો. અમે બંનેએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે આ વિવાદનો અંત લાવી દીધો હતો.
હરભજન સિંહે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.