IPLમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપમાં કોલકતા નાઈટ રાઈડર્સ માટે રમનાર શોએબ અખ્તરનું માનવું છે કે, ગાંગુલીએ પોતાના મુશ્કેલ સમય દરમિયાન ખેલાડીઓની માનસિકતા બદલવા ઉપરાંત ભારતીય ક્રિકેટને પણ બદલ્યું છે. કારણ કે તેની પાસે ક્રિકેટનું સારું એવું જ્ઞાન છે.
અખ્તરે પોતાની યુ ટ્યૂબ ચેનલ પર કહ્યું હતું કે, મને લાગ્યું કે હિંદુસ્તાન ક્રિકેટને જે એક વ્યક્તિ બદલવા માટે આવ્યો હતો તેનું નામ સૌરવ ગાંગુલી હતું. આ પહેલા 1997-98માં મને ક્યારેય લાગ્યું નહીં કે ભારત ક્યારેય પાકિસ્તાનને હરાવી નહીં શકે. મને ક્યારેય નહોતું લાગ્યું કે ભારત પાસે એવી સિસ્ટમ હોય જેથી તે પાકિસ્તાનને હરાવી શકે. જોકે સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટનો માનસિક વિચાર બદલ્યો છે.
ગાંગુલી હાલ બંગાલ ક્રિકેટ સંઘના અધ્યક્ષ છે અને તે બીસીસીઆઈ અધ્યક્ષ બનવાનું નક્કી છે. કારણ કે આ પદ માટે માત્ર એક જ નામાંકન ભરવામાં આવ્યું છે અને તે સૌરવ ગાંગુલીનું છે.
જોકે, સૌરવ ગાંગુલી એક વર્ષ કરતાં પણ ઓછા સમય માટે બીસીસીઆઈના અધ્યક્ષ હશે. સપ્ટેમ્બર 2020માં તે કૂલિંગ પીરિયડમાં જશે કારણ કે ગત પાંચ વર્ષથી સીએબીના અધ્યક્ષ છે. બીસીસીઆઈના નિયમ મુજબ કોઈપણ અધિકારી માત્ર છ વર્ષ માટે જ કોઈ પદ પર રહી શકે છે.