નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આર અશ્વિને પોતાની ટેસ્ટ કારકકિર્દીમાં ઘરઆંગણે 250મી વિકેટ ઝડપી. તેની સાથે જ તે ભારત માટે સૌથી ઝડપી ઘરઆંગણે 250 વિકેટ લેનાર બોલર બની ગયા છે.


આપને જણાવી દઈએ કે આર.અશ્વિને ભારતમાં 250 ટેસ્ટ વિકેટ ઝડપી છે અને આ સાથે તે ટીમ ઇન્ડિયાનો એવો, ત્રીજો બોલર બન્યો છે. ઓફ સ્પિનર અશ્વિને 250મી વિકેટ બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને આઉટ કરી લીધી છે. 33 વર્ષનો અશ્વિન તેના ટેસ્ટ કરિયરની 69મી મેચ રમી રહ્યો છે. અશ્વિનના નામે ઝડપી 200 અને 250 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. આ મેચ પહેલા અશ્વિને ભારતમાં 41 અને વિદેશમાં 27 મેચ રમી છે. જેમાં ભારતમાં 249 વિકેટ લીધા હતા.



અશ્વિન પહેલા આ સિદ્ધિ મેળવનાર ભારતીય બોલર અનિલ કુંબલે અને હરભજન સિંહ છે. જેમને 250થી વધુ વિકેટ લીધી છે. દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે કુલ 619 વિકેટ છે. જ્યારે ઓફ સ્પિનર હરભજન સિંહના નામે 417 ટેસ્ટ વિકેટ છે. ભજ્જીએ ભારતીય મેદાન પર 55 ટેસ્ટ મેચમાં 265 વિકેટ લીધી છે. જ્યારે અનિલ કુંબલેએ 63 ટેસ્ટ મેચોમાં ભારતમાં 350 વિકેટ લીધા છે.