નવી દિલ્હીઃ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ  થઇ ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડે 68 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 203 રન ફટકાર્યા હતા. આ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્લ્ડકપ 2019ની ફાઇનલ બાદ કીવી ટીમની આ પ્રથમ ઇન્ટરનેશનલ  મેચ છે. ન્યૂઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી. તેણે વિના વિકેટે 64 રન બનાવી લીધા હતા. એવામાં લાગતુ હતું કે ટીમ મોટો સ્કોર કરશે પરંતુ 27મી ઓવરમાં ટોમ લાથમ અને કેપ્ટન કેન વિલિયમસન આઉટ થઇ ગયા છે. ત્યારબાદ 31મી ઓવરમાં જીત રાવલના રૂપમાં ન્યૂઝીલેન્ડની ટીમને ત્રીજો ઝટકો લાગ્યો હતો. આ રીતે શ્રીલંકા મેચમાં પાછી ફરી હતી.


આશ્વર્યની વાત એ રહી હતી કે ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન કેન વિલિયમસન આ મુકાબલામાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઇ ગયો હતો. તે ઇનિંગની ત્રીજી જ મેચમાં જ કેન વિલિયમસન ધનંજયા ડિસિલ્વાના બોલ પર આઉટ થઇ ગયો હતો વિલિયમસન સાથે ટેસ્ટ ક્રિકેટમાં ચાર વર્ષથી વધુ સમય બાદ એવુ થયું છે કે જ્યારે તે શૂન્ય પર આઉટ થયા છે.

વિલિયમસન આ અગાઉ વર્ષ 2015માં 29 મેના ઇગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સમાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. 50થી વધુ મહિના બાદ એકવાર ફરી તે શૂન્ય પર આઉટ થયો હતો. ઇન્ટરનેશનલ મેચમાં  છેલ્લે તે પાકિસ્તાન વિરુદ્ધ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઓકલેન્ડમાં જાન્યુઆરી 2018માં આઉટ થયો હતો. ટેસ્ટ રેન્કિંગમાં કોહલી બાદ બીજા નંબરના ખેલાડી વિલિયમસને આ વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી.