મુંબઇઃ ક્રિકેટની દુનિયાના મહાન ક્રિકેટરો હવે ફરીથી એકવાર મેદાન પર રમવા ઉતરશે, રૉડ સુરક્ષાને લઇને યોજાનારી વર્લ્ડ સીરીઝ ટી20માં દિગ્ગજોને ફરી એકવાર આમનો સામનો થવાનો છે. રિપોર્ટ પ્રમાણે સચીન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, મુથૈયા મુરલીધરન, તિલકરત્ન દિલશાન સહિતના દિગ્ગજો ફરી એકવાર મેદાન પર જોવા મળશે, સચિન-સહેવાગની જોડી ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાન પર ઉતરશે.


આ ક્રિકેટરો રૉડ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમશે. ટૂર્નામેન્ટ પાંચ ટીમોની વચ્ચે વર્ષ 2020માં 2થી 16 ફેબ્રુઆરીની વચ્ચે મુંબઈમાં રમાશે. સચિનને રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે, વળી પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર ટૂર્નામેન્ટ કમિશનર હશે.



આ ટૂર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા તથા વેસ્ટ ઇન્ડિઝના લિજેન્ડ ક્રિકેટર્સની ટીમો રહેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા લગભગ ૧૧૦ ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સહમતી વ્યક્ત કરી દીધી છે.



પ્રથમ સિઝન માટે માત્ર ટેસ્ટ પ્લેયિંગ દેશોને જ ભાગ લેવા માટે ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારની રોડ સેફ્ટી વિભાગ તથા પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૧૮ના ઓગસ્ટમાં બીસીસીઆઇ તરફથી આયોજકોને આ વિશેષ ટી૨૦ લીગનું આયોજન કરવાની મંજૂરી મળી છે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં જેક્સ કાલિસ, બ્રેટ લી તથા શિવનારાયણ ચંદ્રપોલ પણ ભાગ લે તેવી પૂરી સંભાવના છે.



રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ભારતમાં પ્રત્યેક વર્ષે રોડ અકસ્માતમાં થઈ રહેલા મોત સામે જાગૃત્તિ લાવવાનો હેતુ માટે રમાડવામાં આવી રહી છે. ૨૦૧૩માં ક્રિકેટને અલવિદા કર્યા બાદ સચિન પ્રથમ વખત પોતાના ઘરઆંગણાના સમર્થકો સામે રમવા માટે ફરીથી મેદાનમાં ઉતરશે. તે છેલ્લે ૨૦૧૪માં લોર્ડ્ઝ ખાતે એમસીસી તરફથી રેસ્ટ ઓફ ધ વર્લ્ડ સામે તથા ૨૦૧૫માં અમેરિકા ખાતે રમાયેલી ત્રણ પ્રદર્શન ટી૨૦ મેચમાં રમ્યો હતો.