માંચેસ્ટરઃ ભારતીય ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે સેમી ફાઈનલ રમવાની છે ત્યારે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે મોહમ્મદ શમીને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવાની ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપી છે. સચિને કોને સ્થાને શમીને રમાડવો જોઈએ એ કહ્યું નથી પણ શમીને લેવા ભુવનેશ્વરને બહાર રાખવો પડે.




સચિને દલીલ કરી છે કે, આપણે વેસ્ટ ઈન્ડિઝ સામે લીગ મેચ આ જ મેદાન પર રમ્યા હતા ને એ મેચમાં શમીએ શાનદાર બોલિંગ કરી હતી. શમીએ એ મેચમાં માત્ર 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ગેલ, હોપ, હેટમાયર અને થોમસ શમીના શિકાર બન્યા હતા. શમી આ મેદાન પર ચાલ્યો છે ત્યારે તેને તક આપવી જોઈએ.



ભારતે શ્રીલંકા સામેની છેલ્લી લીગ મેચમાં શમીને રમાડ્યો નહોતો પણ ભુવનેશ્વર કુમારને રમાડ્યો હતો. ભુવનેશ્વર કુમાર એ મેચમાં બહુ ઝૂડાયો હતો. ભુવનેશ્વરે 10 ઓવરમાં 73 રન આપી દીધા હતા. સચિનના કહેવા પ્રમાણે, શમીને બહુ તક નહોતી મળી છતાં તેણે આ મેદાન પર સારો દેખવા કર્યો તે જોતાં તેને લેવો જોઈએ.