મુંબઈ: ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકરને લઈને મોટુ પગલુ ભર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર,  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સંજય માંજરેકરને કોમેન્ટ્રી પેનલમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. ભારતીય ક્રિકેટ સિરીઝ દરમિયાન કોમેન્ટ્રી પેનલના નિયમિત ભાગ બની ચુકેલા સંજય માંજરેકર દક્ષિણ આફ્રિકા સિરીઝ દરમિયાન જોવા મળ્યા નહોતા. જેની પાછળનું કારણ તેમણે પેનલમાંથી બહાર કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે.


કોમેન્ટ્રી પેનલમાં સુનીલ ગાવસ્કર, વીવીએસ લક્ષ્‍મણ તો જોવા મળ્યા પણ સંજય માંજરેકર જોવા મળ્યા નહોતા. મીડિયા રિપોર્ટ અનુસાર સંજય માંજરેકરને BCCI કોમેન્ટેટર પેનલમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. સંજય માંજરેકર અવાર નવાર ભારતીય ખેલાડીઓની ટિકા કરતા હતા. BCCI દ્વારા તેમણે પેનલની બહાર કરવાનો નિર્ણય ચોકાવનારો નથી. ગત દિવસે તેમણે કેટલીક એવી વાતો કરી હતી જે બાદ તેમણે કોમેન્ટ્રીમાંથી બહાર કરવાની વાત સામે આવી હતી.

ગત વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલ આઇસીસી વર્લ્ડકપ દરમિયાન સંજયે ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટિકા કરી હતી. જાડેજાએ સોશિયલ મીડિયા પર તેમના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. બન્ને વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલો વિવાદ ચર્ચામાં રહ્યો હતો.

બીજી કોલકાતામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ પિંક બોલ ટેસ્ટ દરમિયાન પણ સંજયે સાથી કોમેન્ટેટર હર્ષા ભોગલેને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે તમે ક્રિકેટ નથી રમી તમને વધુ ખબર નથી. માત્ર ક્રિકેટ રમનારા જ મેચ દરમિયાન થઇ રહેલી વસ્તુઓ પર વાત કરી શકે છે.