મુંબઈઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ લોકડાઉન વચ્ચે તાજેતરમાં ખેલાડીઓને અંગત રીતે ટ્રેનિંગની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શાર્દુલ ઠાકુરે પણ શનિવારે ટ્રેનિંગ શરૂ કરી હતી પરંતુ તેના આ ફેંસલાથી બીસીસીઆઈ નાખુશ છે. જાણકારી મુજબ શાર્દુલે ટ્રેનિંગ શરૂ કરવા માટે બીસીસીઆઈની જરૂરી મંજૂરી લીધી નથી.


શાર્દૂલ બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ છે. આ સ્થિતિમાં કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા કોઈપણ ખેલાડીએ ટ્રેનિંગ શરૂ કરતાં પહેલા બોર્ડની મંજૂરી લેવી જરૂરી છે. પરંતુ ઠાકુરે આમ ન કર્યુ અને મુંબઈ નજીક આવેલા પાલઘરના દહાનુ ક્રિકેટ મેદાનમાં ટ્રેનિંગ શરૂ કરી હતી. આ સિવાય હજુ સુધી ટીમ ઈન્ડિયાના કોઈ પણ ખેલાડીએ ઘરની બહાર ટ્રેનિંગ શરૂ કરી નથી.

બોર્ડના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીતમાં જણાવ્યું, તે કરારમાં સામેલ હોવાથી તેને મંજૂરી લેવી જોઈતી હતી. તેણે આમ નથી કર્યુ તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે આમ નહોતું કરવું જોઈતું, આ યોગ્ય પગલું નથી. શાર્દુલ પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેના ગામના ખેતરમાં દોડ લગાવતો અને કસરત કરતો જોવા મળ્યો હતો. જોકે તેણે નેટ પ્રેક્ટિસ નહોતી કરી.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, શાર્દુલે જ્યાં ટ્રેનિંગ શરૂ કરી તે રેડ ઝોનમાં નથી આવતો પરંતુ તેણે બીસીસીઆઈની મંજૂરી લીધા વગર આમ કર્યુ જે યોગ્ય નથી. મુંબઈ અને મહારાષ્ટ્રમાં હાલ કોરોના સંક્રમણના સૌથી વધારે મામલા અને સૌથી વધુ મોત થયા છે.