નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર એસ.શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધને ઘટાડીને 7 વર્ષ કરી દીધો છે. 13 સપ્ટેમ્બર 2020ના રોજ શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ ખતમ થશે. બીસીસીઆઈ લોકપાલ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે શ્રીસંત પર લાગેલા પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષનો કરવાનો ફેંસલો લેવાયો છે. 13 સપ્ટેમ્બર 2013ના રોજ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવાયો હતો.




આ પહેલા માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે પણ શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધને હટાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે બીસીસીઆઈ પાસે અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર છે. કોર્ટે બીસીસીઆઈને શ્રીસંતને સુનાવણીનો મોકો આપવા અને 3 મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું આજીવન પ્રતિબંધ વધારે છે.


સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવ્યા બાદ શ્રીસંતે કહ્યું હતું, હું લિએન્ડર પેસને આદર્શ માનું છું. જો તે 45 વર્ષની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ રમી શકે છે, નેહરા 38 વર્ષની વયે વર્લ્ડકપમાં રમી શકે છે તો હું કેમ નહીં ? હું તો માત્ર 36 વર્ષનો છું. મારી ટ્રેનિંગ ચાલું છે.



શ્રીસંતે 2005માં શ્રીલંકા સામે નાગપુરમાં વન ડે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે 2006માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે 27 ટેસ્માં 37.59ની સરેરાશથી 87 વિકેટ અને વન ડેમાં 53 મેચમાં 75 વિકેટ ઝડપી છે.