અમદાવાદ: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ્સ અને 25 રનથી શાનદાર જીત મેળવી હતી. તેની સાથે ભારતે 3-1થી સીરિઝ પર કબ્જો કરી લીધો હતો. આ જીત સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે. ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે.


ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 135 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે આ મેચમાં 9 વિકેટ અને અશ્વિને 8 વિકેટ લીધી હતી. જ્યારે ભારત તરફથી ઋષભ પંતે સદી નોંધાવી હતી.



વોશિંગ્ટન સુંદર 96 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. અક્ષર પટેલ 43 રન બનાવી રન આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 4 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસનને 3 અને જેક લિચને 2 સફળતા મળી હતી.

આઈસીસી દ્વારા પહેલીવાર યોજાઈ રહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ફાઈનલ રમાશે. બન્ને ટીમો વચ્ચે 18 જૂને લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર મેચ રમાશે.