નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સિનિયર પસંદગી સમિતિએ મુંબઈમાં બેઠક કરી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી20 ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 19 જાન્યુઆરીએ થનારી અંતિમ વન ડે ઇન્ટરનેશન મેચ બાદ ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે રવના થશે. ટીમ બેંગલુરુથી ટેકઓફ કરશે.


ન્યુઝીલેન્ડના પ્રવાસે ટીમ ઇન્ડિયા 5 ટી20 મેચ અને 3 વન ડે મેચ રમશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચ પણ રમશે. ન્યુઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયાના પ્રવાસની શરૂઆત 5 ટી20 મેચની સિરીઝથી થશે. પહેલી મેચ 24 જાન્યુઆરી રમાશે. જ્યારે બીજી મેચ 26 જાન્યુઆરી, ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ રમાશે. ત્યાર બાદ બાકી બે મુકાબલા અનુક્રમે 31 જાન્યુઆરી અને 02 ફેબ્રુઆરીએ રમાશે.

ત્યાર બાદ ટીમ ઇન્ડિયા વન ડે સિરીઝ રમશે. પહેલી વન ડે મેચ 5 ફેબ્રુઆરીએ હેમિલ્ટન ખાતે રમાશે. જ્યારે બીજી મેચ 8 તારીખે ઓક્લેન્ડમાં રમાશે. અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. 21થી 25 ફેબ્રુઆરી વચ્ચે ભારત પહેલી ટેસ્ટ મેચ રમશે અને બીજી ટેસ્ટ મેચ 29 ફેબથી 4 માર્ચ સુધી રમાશે.


ટી20 ટીમમાં વાઈસકેપ્ટન રોહિત શર્માનું કમબેક થયું છે જેણે શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો. યુવા વિકેટકીપર સંજુ સેમસનને તક નથી મળી અને ઋષભ પંત જ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં જ ટીમ ટી20 સીરિઝ રમશે.

કેરળના સંજુ સેમસનને શ્રીલંકા વિરુદ્ધ ગત સીરિઝની છેલ્લી ટી20માં તક આપવામાં આવી પણ તે આમાં માત્ર 2 બોલ રમીને 6 રન જ બનાવી શક્યો.

ટી20 ટીમ આ રીતે છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર