નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં રમાનારી વનડે સીરીઝ પહેલા શ્રીલંકાના ખેલાડીઓ અને ટીમને ફરી એકવાર આતંકી હુમલાની ધમકી મળી છે. આ ધમકીથી શ્રીલંકન સરકરા ફરીથી ચિંતામાં આવી ગઇ છે. બુધવારે શ્રીલંકાની સરકારે આ મુ્દ્દે કહ્યું કે, અમને અમારી ટીમ પર આતંકી હુમલો થવાની ધમકી મળી છે, આવામાં અમે હવે ફરીથી પાકિસ્તાની પ્રવાસની સુરક્ષાને લઇને સમીક્ષા કરીશું.


આતંકી હુમલાની ધમકી મળ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સરકાર પાસે પાકિસ્તાનમાં સુરક્ષાની સમીક્ષા કરાવવાનું કહ્યું છે. આ બાદ સરકારે પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.



ખરેખર, શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયને આતંકી હુમલો થવાની વિશ્વાસનીય જાણકારી મળી હતી કે, પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર આતંકી હુમલો થઇ શકે છે.



નોંધનીય છે કે, આ પહેલા શ્રીલંકાના 10 સીનિયર ક્રિકેટરોએ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ 10 ખેલાડીઓમાં લસિથ મલિંગા, એન્જેલો મેથ્યુઝ સિવાય નિરોશાન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, તિસારા પરેરા, અકીલા ધનંજય, સુરંગા લકમલ, દિનેશ ચંડીમલ અને દિમુથ કરુણારત્ને સામેલ છે.