નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડને 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા આઈસીસી વર્લ્ડ કપમાં જીત માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવે પણ આ વાતને સમર્થન આપ્યું છે.


ભારતની 1983 વિશ્વ કપ વિજેતા ટીમનાં કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, “ભારત પાસે યુવા અને અનુભવનું શાનદાર સંયોજન છે. તેઓ અન્ય ટીમો કરતા વધારે અનુભવી છે. ભારતીય ટીમ ઘણી સંતુલિત છે. ટીમની પાસે 4 ઝડપી બૉલર્સ અને 3 સ્પિનર્સ છે. તેમની પાસે વિરાટ કોહલી અને ધોની છે. ધોની અને કોહલીએ ભારત તરફથી ઘણું જ સારું પ્રદર્શન કર્યું છે. આ બંનેનો કોઈ જવાબ નથી.”



કપિલ દેવે ભવિષ્યવાણી કરી છે કે ભારત ઉપરાંત યજમાન ઇંગ્લેન્ડ અને વર્તમાન ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા પણ સેમીફાઇનલમાં પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, “મારું માનવું છે કે ભારત જરૂર ટૉપ 4માં પહોંચશે. ત્યારબાદની સ્થિતિ મુશ્કેલ હશે. સેમીફાઇનલ બાદ ભાગ્ય અને વ્યક્તિગત સ્કોર તેમજ ટીમ પ્રદર્શન રસ્તો નક્કી કરશે. ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને ભારત ટૉપની ટીમો છે. આ ટીમો અન્યની તુલનામાં વધારે મજબૂત છે. ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઇન્ડીઝની ટીમો પણ ચોંકાવનારા પરિણામ આપી શકે છે.”