અગરતલા: મંગળવારે ત્રિપુરાના પાટનગર અગરતલામાં ત્રિપુરાની અંડર-23 ટીમના ખેલાડી મિથુન દેબબર્માનું હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યું હતું. દેબબર્માને મેચ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું હતું.
 
અંગ્રેજી ચેનલના અહેવાલ પ્રમાણે, મંગળવારે અગરતલાના મહારાજા બિર બ્રિક્રમ ક્રિકેટ સ્ટેડિયમમાં એક પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી જેમાં મિથુન દેબબર્મા પણ રમી રહ્યો હતો. મિથુન ફીલ્ડિંગ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તે મેદાનમાં પડી ગયો હતો. મિથુનને બેભાન થયેલો જોતાં તેના સાથીઓએ તેને તાત્કાલીક ઉઠાવી લીધો હતો અને નજીકની ઈન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં જોકે તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

ડોક્ટરોએ મિથુન દેબબર્માના મોતનું કારણ હાર્ટ અટેક જણાવ્યું હતું જે જાણી તમામ લોકો ચોંકી ગયા હતાં. ડોક્ટરોના મતે, મિથુનને ગંભીર હાર્ટ અટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. મિથુન દેબબર્માના મોતના સમાચાર સાંભળીને ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ ડો.માનિક શાહ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.