નવી દિલ્હીઃ 31 ઓક્ટોબરથી દેવધર ટ્રોફીની શરૂઆત થઈ છે. આ ટૂર્નામેન્ટમાં એવા ખેલાડીઓને તક મળી છે, જેમણે વિજય હજારે વનડે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. ગુરુવારે આ ટૂર્નામેન્ટનો પ્રતમ મેચ ઈન્ડિયા એ અને ઇન્ડિયા બીની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇન્ડિયા બીની ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને કારણે 108 રનથી જીતી લીધી હતી.


આ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેને કારણે બધાને ધોનીની યાદ આવી ગઈ. ઈન્ડિયા બીના કેપ્ટન પાર્થિવ પટેલે ઈન્ડિયા એના બેટ્સમેન જયદેવ ઉનડકટને ધોનીના અંદાજમાં રન આઉટ કરી દીધો.


ઈન્ડિયા એની ઇનિંગની 43મી ઓવરમાં જયદેવ ઉનડકટે શાહબાજ નદીમના બોલ પર ડિફેન્સ કર્યું. આ દરમિયાન તે ક્રીઝથી થોડો આગળ ચાલ્યો ગયો. બોલ કવરના ફીલ્ડર કેદાર જાધવની પાસે ગયો. આ દરમિયાન જયદેવ ઉનડકટનું ધ્યાન બોલ પર નહોતું અને તે ક્રીઝની બહાર જ હતો. ત્યારે કેદાર જાધવે ઝડપથી બોલ પાર્થિવ પટેલને આપ્યો અને તેણે બોલ હાથમાં આવતાં જ સ્ટમ્પ ઉડાવી દીધી. ત્યારબાદ ઈન્ડિયા બીના ખેલાડી ઉજવણી કરવા લાગ્યા.

વિરોધી ટીમને ઉજવણી કરતી જોઈ જયદેવ ઉનડકટને સમજાયું કે તેની બેદરકારીને કારણે રન આઉટ થઈ ગયો છે. ઉનડકટે ખૂબ ઉદાસી સાથે અમ્પાયરની સામે જોયું અને અમ્પાયરે પણ તેને આઉટ આપ્યો. અમ્પાયરે આઉટ આપતાં ઉનડકટ રડવા જેવો થઈ ગયો હતો. નોંધનીય છે કે, ધોની પોતાની કારકિર્દીમાં અનેકવાર આ પ્રકારે વિરોધી બેટ્સમેનને રન આઉટ અને સ્ટમ્પ કરી ચૂક્યો છે.