નવી દિલ્હીઃ વર્લ્ડકપના પ્રથમ સેમી ફાઈનલ મેચમાં 9 જુલાઈના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ એકબીજા સાથે ટકરાશે. આ મેચ આમ જોવા જઈએ તો 2008 અંડર 19 વર્લ્ડકપ સેમીફાઈનલ મેચ જેવી જ છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનનો લુક એકબીજાને મળતો આવતો હતો અને હવે 2019માં પણ તેનો લુક એક જેવો જ છે.




2008માં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં અંડર 19નો વર્લ્ડ કપ રમાયો હતો. જેમાં સેમી ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો થયા હતા. રસપ્રદ વાત એ છે કે તે સમયે ભારતીય ટીમની કેપ્ટનશિપ કોહલીના હાથમાં હતી અને ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ વિલિયમ્સનના હાથમાં હતી. આમ 11 વર્ષ પછી ફરી બંને કેપ્ટનો સેમિ ફાઇનલમાં ટકરાશે.

2008માં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવ્યા હતા. સિદ્ધાર્થ કૌલ, તન્મય શ્રીવાસ્તવ અને વિરાટ કોહલીએ 2-2 વિકેટ ઝડપી હતી.



મેચમાં વરસાદ પડતા ભારતને જીતવા માટે 43 ઓવરમાં 191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે ભારતે 41.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. વિકેટકીપર શ્રીવત્સ ગોસ્વામીએ 51 અને કેપ્ટન કોહલીએ 43 રન બનાવ્યા હતા. કોહલીને મેને ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ પછી ભારતીય ટીમ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ચેમ્પિયન બની હતી.