બેંગલૂરૂ: કર્ણાટકમાં રાજકીય સંકટ ઘેરાયું છે. કૉંગ્રેસ જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ ગઠબંધન સરકાર પડી જવાની કગાર પર છે ત્યારે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ ચાલુ છે. કુમારસ્વામી સામે પોતાની ખુરશી બચાવવાની સાથે સાથે ગઠબંધન સરકાર બચાવવાનો પડકાર છે. આ તમામ રાજકિય નૌટંકી વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી આજે અમેરિકાથી બેંગલૂરૂ પરત ફર્યા છે. એચએલ એરપોર્ટથી કુમારસ્વામી સીધા જેડીએસની મિંટિંગ માટે રવાના થયા છે. કૉંગ્રેસ અને કુમારસ્વામી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે સરકાર પર કોઈ સંકટ નથી.


બીજી તરફ કૉંગ્રેસે સર્કુલર જાહેર કરી પોતાના તમામ ધારાસભ્યોને 9 જૂલાઈના હાજર રહેવા આદેશ આપ્યા છે. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાએ પણ ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. કૉંગ્રેસ આ મામલાને લઈને ભાજપ પર સાજિશનો આરોપ લગાવી રહી છે. ભાજપે આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.


કૉંગ્રેસ નારાજ ધારાસભ્યોને મનાવવામાં લાગી છે. કૉંગ્રેસ જેડીએસના નારાજ ધારાસભ્યો કાલે રાત્રેથી જ મુંબઈ પહોંચી ગયા છે. કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા બાગી ધારાસભ્ય રોશન બૈગે પણ રાજીનામું આપવાના સંકેત આપ્યા છે. એવામાં ગઠબંધન સરકારની મુશ્કેલી વધી શકે છે. રોશન બૈગે બે દિવસમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાનું કહ્યું છે. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં રોશન બૈગે સિદ્ધરમૈયાને જવાબદાર ગણાવ્યા છે. નારાજ ધારાસભ્યોમાં મોટાભાગના ધારાસભ્યો સિદ્ધરમૈયાની નજીકના રહ્યા છે.