ધોની કરશે નિવૃતિની જાહેરાત? કોહલીના ટ્વિટથી મળ્યા સંકેત
abpasmita.in | 12 Sep 2019 03:39 PM (IST)
કોહલીએ ગુરુવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે ખેલાડીઓ માટે ફિટનેસ લેવલ સૌથી મહત્વનું છે. સતત રમાઇ રહેલી સીરિઝ દરમિયાન ખેલાડીઓ માટે ફિટનેસ જાળવવી ખૂબ મુશ્કેલ છે. આ ચેલેન્જને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સારી રીતે સ્વીકાર કરી છે. તે સિવાય આખી ટીમે પણ આ કસોટી પર પાર ઉતરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન કોહલીએ ગુરુવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં બંન્ને ક્રિઝ પર છે.વિરાટ જીતની ઉજવણી કરી રહ્યો છે. સાથે કોહલીએ લખ્યું કે, તે મેચ જેને હુ ક્યારેય ભૂલી શકું તેમ નથી. આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટ તરફ દોડાવ્યો છે. કોહલીએ પોતાની ટ્વિટમાં ધોનીને ટેગ કર્યો હતો. કોહલીના આ ટ્વિટ બાદ ફેન્સ ધોનીની નિવૃતિની જાહેરાતને લઇને સવાલ કરી રહ્યા છે. વાસ્તવમાં આ તસવીર 2016ના ટી-20 વર્લ્ડકપની છે. 27 માર્ચ 2016ના રોજ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ મેચમાં કોહલીએ અણનમ 82 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ધોનીએ અંતિમ ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી.