નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સેમીફાઈનલ મુકાબલામાં વરસાદ વિઘ્ન બન્યો છે. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 46.1 ઓવરમાં વરસાદના કારણે રોકાઈ ગઈ હતી જેના કારણે આજે ટીમ ઈન્ડિયાની તરફથી 46.1 ઓવર ભુવનેશ્વર કુમાર પૂરી કરશે. ક્રીઝ પર રોસ ટેલર અને ટોમ લેથમ રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટ પર 221 રન હતો. ટેલર 67 રન અને લેથમ 3 રન બનાવીને રમતમાં છે.

હવામાનના પૂર્વાનુમાન પ્રમાણે આજે સવારે 10 ટકા વરસાદ પડવાની આશંકા છે અને બપોરે 35થી 40 ટકા વરસાદની સંભાવના છે. જો હવામાન સારું રહેશે તો 50-50 ઓવરની આ મેચ પૂરી રમાડવામાં આવશે. પરંતુ જો વરસાદ ફરીથી પડ્યો તો શું થશે. મેચ પર આમ તો ટીમ ઈન્ડિયાની પકડ મજબૂત જ છે.

જો આજે પણ વરસાદ વિઘ્ન બને તો ભારતની સામે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે સંશોધિત ટાર્ગેટ હશે. જો ભારતને 20 ઓવર રમવાની થાય તો, 148 રનનો ટાર્ગેટ મળે. જો 25 ઓવર રમાય તો 172 રન, 30 ઓવર રમાય તો 192 રન, 35 ઓવર રમાય તો 209 રન, 40 ઓવર રમાય તો 223 રન અને 46 ઓવર રમાય તો 237 રનનો ટાર્ગેટ મળી શકે છે.