જાધવ ચેન્નાઈની આખરી લીગ મેચમાં પંજાબ સામે ફિલ્ડિંગ ભરતા ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તે સમયસર ફિટ થઈ શકે તેની શક્યતા ઓછી જોવા મળી રહી છે. જો જાધવ વર્લ્ડકપ માટે અનિફિટ જાહેર થાય તો ગુજરાતના ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળે તેવી શક્યતા છે.
આઇપીએલમાં બાઉન્ડ્રી નજીક ફિલ્ડિંગ ભરતા જાધવને ખભાની ઈજા થઈ હતી અને ત્યાર બાદ તેણે તત્કાળ મેદાન છોડી દીધું હતુ. તેની ઈજા સામાન્ય હોવાના અહેવાલો વહેતા થયા હતા પણ હવે તે પાયા વિહોણા હોવાનું સાબિત થઈ રહ્યું છે. જાધવની હાલમાં ખાસ સુધારો થયો નથી અને ટીમ ઈન્ડિયાનો ફિઝિયો તેની ઈજા પર નજર રાખી રહ્યો છે. ભારતીય ટીમના પસંદગીકારોને પણ દરરોજ જાધવની ઈજા અંગેની અપડેટ આપવામા આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બીસીસીઆઇ હાલ તો જાધવની ઈજા પર નજર રાખી રહ્યું છે. જોકે તેની ઈજા અંગે આવતા સપ્તાહ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય ટીમ તારીખ ૨૨મી મે ના રોજ વર્લ્ડકપમાં રમવા માટે રવાના થશે. તે પહેલા જાધવ જો ફિટ નહિ થાય તો તેના સ્થાને ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવી શકે છે.
ગુજરાતનો સ્લો લેફર્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર અક્ષર પટેલ મીડલ ઓર્ડરમાં અસરકારક બેટીંગ પણ કરી શકે છે. અક્ષર વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૩૮ વન ડે અને ૧૧ ટી-૨૦ રમી ચૂક્યો છે. તેણે વન ડેમાં ૩૧.૩૧ની સરેરાશથી ૪૫ વિકેટ ઝડપી છે અને ૧૮૧ રન પણ ફટકાર્યા છે. જ્યારે ટી-૨૦માં તેની ૯ વિકેટ છે અને તેણે ૬૮ રન નોંધાવ્યા છે. અક્ષર વર્ષ ૨૦૧૫માં રમાયેલા વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સામેલ હતો, જોકે તેને તક મળી નહતી.હવે આ વખતે તેનું નસીબ ચમકી શકે છે.
વર્લ્ડકપઃ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી બે વર્ષ પહેલા હતો નંબર 1 બોલર, હવે TV પર જોશે વર્લ્ડ કપ
સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત