નવીદિલ્હી: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું માનવું ચે કે વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે ન રમવાથી ભારતને જ નુકશાન થશે. સચિને કહ્યું, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ ન રમીને તેમને બે પોઇન્ટનો ફાયદો કરાવવો યોગ્ય નથી, કારણ કે આનાથી તેમને મદદ મળશે. વર્લ્ડ કપમાં ભારતે હંમેશા પાકિસ્તાનને હરાવ્યું છે. આ વખતે પણ તેને હરાવવાનો સમય છે.


સચિને કહ્યું, ભારતે વિશ્વ કપમાં હંમેશા પાકિસ્તાન સામે સારૂ પ્રદર્શન કર્યું છે. હવે ફરી તેમને હરાવવાનો સમય છે. હું અંગત રીતે તેમને બે પોઈન્ટ આપવાનું પસંદ નહી કરૂ. સચિને કહ્યું, 'પરંતુ મારા માટે મારો દેશ સર્વોપરી છે અને મારો દેશ જે પણ નિર્ણય કરશે તેનું સમર્થન કરીશ.'

પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોના શહીદ થયા બાદ આ મેચ ન રમવાની માંગ ઉઠી રહી છે. પુલવામાં હુમલા પછી દેશમાંથી અવાજ ઉઠી રહી છે કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાનાર મેચનો બહિષ્કાર કરવો જોઈએ.

વાંચો: વર્લ્ડકપમાં ભારત જો પાકિસ્તાન વિરૂદ્ધ ન રમે તો કોને થશે ફાયદો? ગાવસકરે જણાવ્યું ગણિત...

શુક્રવારે બીસીસીઆઈ અને સીઓએની બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાન સામે રમવું કે નહીં તેનો નિર્ણય સરકાર ઉપર છોડી દીધો છે. CoA પ્રમુખ વિનોદ રાયે કહ્યું હતું કે પાકિસ્તાન રમવા પર અમે સરકાર સાથે મળીને ચર્ચા કરીશું. હાલ તેમાં 3 મહિનાનો સમય છે, સરકાર સાથે ચર્ચા પછી આ મુદ્દે અંતિમ નિર્ણય કરાશે.