ગાંધીનગર: શિક્ષકો અને એસટીના કર્મચારીઓના આંદોલનને લઈને રાજ્ય સરકાર દ્વારા એક કમિટીના રચના કરવામાં આવી છે. આ કમિટીમાં નીતિન પટેલ, ભુપેંદ્ર સિંહ ચુડાસમા અને આરસી ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીએ પ્રાથમિક શિક્ષક સંઘ સાથે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ પ્રાથમિક શિક્ષણ સંઘનાં નેતા દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું, હતું કે સરકારે અમારી માંગણીઓ સ્વીકારવાનો વિશ્વાસ આપ્યો છે. સરકાર તરફથી સકારાત્મક જવાબ મળતા અમે આજના દિવસનો કાર્યક્રમ ખત્મ કરીએ છીએ.


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, 'આ મુદ્દે સરકાર સકારાત્મક છે. કોઇપણ માંગનો તરત જ ઉકેલ ન આવે. થોડા સમય માટે ધીરજ રાખવી જોઇએ. આ લોકો સાથે બેસીને યોગ્ય સમયે યોગ્ય નિરાકરણ લાવીશું. એકાદ-બે દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ આવે તે શક્ય નથી કારણ કે રાજ્ય સરકાર પર મોટું ભારણ આવે તેવી સ્થિતિ થશે.

વાંચો: શિક્ષકોના આંદોલનને લઈને શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાનું મોટું નિવદેન, જુઓ Video

નોંધનીય છે કે આજે ગાંધીનગરમાં રાજ્યભરમાંથી શિક્ષકો આવ્યા હતા અને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરમિયાન ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને અનેક શિક્ષકોની અટકાયત કરી હતી.

વાંચો: Video: ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા શિક્ષકો પર પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ

ખાસ કરીને શિક્ષકોની મુખ્ય માંગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે.