Wrestlers Protest: દેશના કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન, કુસ્તીબાજોએ નવા સંસદ ભવન સામે 28 મેના રોજ મહિલા મહાપંચાયત યોજવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે.


મંગળવારે (23 મે) વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ન્યાયની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કૂચ કરી હતી. આ કૂચ પછી કુસ્તીબાજ વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે "અમે નવા સંસદ ભવન સામે 28 માર્ચે શાંતિપૂર્ણ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે.


મહિલાઓ મહાપંચાયતનું નેતૃત્વ કરશે


વિનેશ ફોગાટે કહ્યું હતુ કે આ મહાપંચાયતનું નેતૃત્વ મહિલાઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે આજે  જે અવાજ ઉઠાવવામાં આવ્યો છે તે દૂર દૂર સુધી પહોંચવો જોઈએ. જો આજે દેશની દીકરીઓને ન્યાય મળશે તો આવનારી પેઢીઓ તેનાથી હિંમત લેશે.


વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા ટોચના કુસ્તીબાજો 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.


બ્રિજભૂષણ સામે બે એફ.આઈ.આર


મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ 28 એપ્રિલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે FIR નોંધવામાં આવી હતી. આમાં પોસ્કો હેઠળ સગીર છોકરીની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય કુસ્તીબાજોનું જાતીય શોષણની ફરિયાદ પર બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે.


આ મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ સામે જાતીય શોષણના આરોપોની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી હતી. દરમિયાન, રમત મંત્રાલયે કુસ્તીબાજોના આરોપોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કુસ્તી મહાસંઘની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે.


Neeraj Chopra: દુનિયાના નંબર વન જૈવલિન થ્રોઅર બની નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો


Number One Javelin Thrower Neeraj Chopra: ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સોમવારે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં નીરજ ચોપરા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નંબર વન ખેલાડી બન્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ રેન્કિંગમાં નંબર વન સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે.


નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. સ્ટાર ભારતીય જૈવલિન થ્રોઅરે એન્ડરસન પીટર્સને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. લેટેસ્ટ રેન્કિંગ મુજબ નીરજ ચોપરાના 1455 પોઈન્ટ્સ અને એન્ડરસન પીટર્સના 1433 પોઈન્ટ છે. નીરજ પાસે 22 પોઈન્ટની લીડ છે. જૈકબ વડલેજ્જ 1416 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા નંબર પર છે.


દોહા ડાયમંડ લીગ જીતીને 2023ની શરૂઆત કરી


નીરજ ચોપરાએ આ સીઝનની શરૂઆત દોહા ડાયમંડ લીગથી કરી હતી. તેણે દોહામાં રમાયેલી ડાયમંડ લીગ સ્પર્ધા જીતી હતી. નીરજે સ્પર્ધામાં 88.67 મીટરનો રેકોર્ડ બનાવ્યો અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું