સુરતઃ ટોચના સરકારી અધિકારી સહિત 10 માલેતુજાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા, રેડ પડી ત્યારે શું બહાનું બતાવ્યું ? જાણો
પોલીસે દરોડો પાડ્યો ત્યારે પકડાયેલા લોકોએ સમાજની મીટિંગ ચાલે છે અને કોઈએ દારૂ નથી પીધો એવું કહીને બચાવ કર્યો હતો. જો કે પોલીસે તેમની વાતને કાને ના ધરતાં મામલતદાર સહિત10 લોકોની ધરપકડ કરી હતી. મોડી રાત્રે જ પોલીસ તમામને અડાજણ પોલીસ મથકે લઈ આવી હતી.
પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે, સમાજની બેઠક છે તેમ કહીને આ આરોપીઓએ આમ્રપાલી રો હાઉસમાં દારૂની મહેફીલ ચાલુ કરી હતી પણ તપાસ કરતાં દારૂ પીવા જ બધા ભેગા થયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ આ કેસમાં દારૂબંધીના નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરે છે કે કેમ તેના પર હવે નજર છે.
સુરતઃ સુરતના અડાજણમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને 10 લોકોની ધરપકડ કરી હતી. આ 10 લોકોમાં એક ટોચનો સરકારી અધિકારી હોવાની ખબર પડતાં પોલીસે આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને મીડિયાને પકડાયેલા દારૂડિયાઓથી દૂર રાખવાના ધમપછાડા શરૂ કર્યા હતા.
પોલીસે મામલતદાર સહિતના તમામ આરોપીના બ્લડ સેંપલ લેવાની કાર્યવાહી શરૂ કરી હતી અને હોસ્પિટલમાં મોકલીને તેમનાં બ્લડ સેમ્પલ લેવાયાં હતાં. પોલીસે ત્યાં સુધીમાં મીડિયાને રોક્યું નહોતું પણ મામલતદારની સંડોવણી હોવાની ખબર પડતાં જ પોલીસે ભીનું સંકેલવાની કાર્યવાહી શરૂ કરીને મીડિયાને દૂર કર્યું હતું.
પોલીસને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારના આમ્રપાલી રો હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. પોલીસે દરોડો પાડતાં ત્યાંથી 10 લોકો ઝડપાયા હતા. આ 10 લોકોમાં અડાજણના મામલતદાર વિનોદ મૈસુરિયાનો પણ સમાવેશ થાય છે. અલબત્ત પોલીસને તેમની સંડોવણીની ખબર નહોતી.