સુરતઃ બાઇક પર 4 સવારી જતાં યુવકોને નડ્યો અકસ્માત, 3નાં ઘટનાસ્થળે જ મોત
સુરતઃ કોસંબા પાસે એક બાઈક પર ચાર સવારી જતાં યુવકોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આજે વહેલી સવારે આ ઘટના બની હોવાની જાણ થતાં લોકોના ટોળે ટોળાં ભેગા થઈ ગયા હતા. ચારેય મિત્રો ઉમરપાડાથી સાયણ જતાં એક્સિડન્ટનો ભોગ બન્યા હતા.
જોકે, ચાર સવારી જતાં આ બાઇકનો અકસ્માત કેવી રીતે થયો તે જાણી શકાયું નથી. અકસ્માતમાં ઘાયલ થયેલો ચોથો યુવક દિવ્યેશ બેભાન અવસ્થામાં છે. ત્યારે બીજી બાઇક પર સવાર યુવકોને પણ આગળ ચાર સવારીમાં જતી બાઇકનો અકસ્માત કેવી રીતે થયો તેની ખબર નથી. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ચારેય મિત્રો રોડ પર ઘવાયેલી હાલતમાં પડ્યા હતા.
પાછળની બાઇક કીમ અને કોસંબા રેલવે ફાટક વચ્ચે પહોંચી ત્યારે જગદીશ અને તેના ત્રણેય મિત્રો રોડ પર ઘવાયેલી હાલતમાં પડેલા હતા. IRBની ગાડી પણ આવી ગઈ હતી. જોકે, કોઈ સારવાર મળે તે પહેલાં અતુલ, વિશાલ અને જગદીશનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલ દિવ્યેશને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આજે સવારે બે બાઈક પર 6 મિત્રો ઉમરપાડાના ચંદ્રપાડા ગામેથી સાયણ કામ પર આવતા હતા. ત્યારે આ અકસ્માત નડ્યો હતો. જગદીશ ગુલાબસિંગ વસાવા(ઉ.વ. 19)ની બાઈક પર અતુલ કામસિંગ વસાવા(ઉ.વ.22), વિશાલ દિનેશભાઈ વસાવા(ઉ.વ.18) અને દિવ્યેશ હરીસિંગ વસાવા(ઉ.વ.21) એમ ચાર મિત્રો બેઠા હતા. જ્યારે અન્ય બાઈક પર બે સવાર હતા. જે બાઇક પાછળ હતી.