નોટબંધીના વિરોધમાં સુરતમાં ખેડૂત મહાસંમેલન, જાણો શું લેવાયો નિર્ણય?
સુરતઃ નોટબંધીના વિરોધમાં ખેડૂતો દ્વારા સુરતમાં મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના 15 હજારથી વધુ ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જ.દ.ના સાંસદ કે.સી. ત્યાગી, સીપીઆઈએમના સીતારામ યેચુરી અને આપના ડો. કનુ કલસરિયા હાજર રહ્યા હતા. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રવિવારના રોજ જહાંગીરપુરા ખાતે સંમેલન રાખવામાં આવ્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે, કેશલેસની વાત કરતા પીએમએ ખરેખર બેંકોને, એટીએમને, ગરીબોને અને સમગ્ર દેશને કેશલેસ કરી નાખ્યા છે. તેમણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સંબોધીને કહ્યું હતું કે, સરકાર વિદેશમાંથી આવતા ઘઉં અને ખાંડની આયાત વધાવી રહી છે. જે માટેની ડ્યુટી પણ ઘટાડી ઝીરો કરી નાખી છે. જો સરકાર વિદેશોમાંથી ખાંડ મંગાવશે તો દક્ષિણ ગુજરાતમાં ઉત્પન્ન થતી ખાંડ ક્યાં જશે.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને ગરીબો વિરોધી ગણાવી સરકારે અર્થતંત્ર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હોવાનું કહ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, 1928માં સરદાર પટેલે ખેડૂતો સાથે મળી આંદોલન કર્યુ હતું અને અંગ્રેજોને નીતિઓ બદલી ભાગવુ પડ્યુ હતું. ફરી એવા જ આંદોલનની જરૂર છે જે ગુજરાતના ખેડૂતો જ કરી શકે છે.
ડો. કનુ કલસરિયાએ કહ્યું કે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. જે પહેલાથી જ ખેડૂતોને ખતમ કરવા માટેનું ષડયંત્ર કરી રહી છે. અહંકારમાં ચૂર પીએમએ કોઈ પણ પ્રકારના પ્લાન વગર ધડાકો કર્યો છે. જેની અસર સામાન્ય માણસ પર અને ખેડૂતો પર થઈ રહી છે. ખેડૂતોએ હવે આ સરકારને જવાબ આપવો જોઈએ. ભારતીય ખેડૂત યુનિયનના પ્રમુખ રાકેશ ટિકાયતે કહ્યું કે સરકાર સીધી રીતે નહીં માને ત્યારે અલગ રીતે આંદોલન કરવુ પડે છે.