'જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પર ગુનાની મોટી કલમો હોય, એના યુવા મોરચા અધ્યક્ષ પાસે બીજી શું આશા રખાય?' હાર્દિકનો પ્રહાર
હાર્દિક પટેલે પુણા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલને ફોન કરીને વિજયની ફરિયાદ લઇને ધોરણસરની કાર્યવાહી કરવા કહ્યું હતું. જો 9 તારીખ સુધીમાં પોલીસ યોગ્ય કાર્યવાહી કરીને જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરે તો પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવાની ચીમકી પણ હાર્દિકે ઉચ્ચારી હતી.
મંગળવારે સરથાણામાં પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલની રેલીમાં ધમાલ બાદ વિજય માંગુકિયા સહિત 19 પાટીદાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. બીજી તરફ પોલીસે વિજયની માત્ર એનસી ફરિયાદ લીધી હતી અને કોઈ કાર્યવાહી કરી નથી.
હાર્દિકે અમિત શાહ પર પ્રહાર કરતાં કહ્યું કે જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પર અલગ-અલગ ગુનાની મોટી કલમો લાગેલી હોય એ પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પાસે બીજી શું આશા રખાય ? હાર્દિકે કહ્યું કે, ભાજપવાળા લુખ્ખાઓની મદદથી રેલી સફળ કરે છે, આવું તો ઝારખંડમાં નક્સલવાદી કરતા હોય છે.
વિજય સાથેની મુલાકાત પછી હાર્દિકે જણાવ્યું કે પાટીદાર સમાજ કોઈના બાપની જાગીર નથી. ક્યારેક કોંગ્રેસવાળા એવું કહે છે કે અમે લોકો ભાજપના છીએ, ક્યારેક ભાજપવાળા એવું કહે કે અમે લોકો કોંગ્રેસના છીએ પણ પાટીદાર સમાજ અલગ છે ને એ કોઈના બાપની જાગીર નથી.
સુરતઃ સરથાણામાં યુવા ભાજપની રેલીનો વિરોધ કરનારા પાસના વિજય માંગુકિયાને માર મારતાં તેને સ્મીમેરમાં દાખલ કરાયો છે. ગુરુવારે પાસ કન્વીનર હાર્દિક પટેલ તેની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યો હતો. ગુરુવારે હાર્દિકે ક્રાઇમ બ્રાંચમાં હાજરી આપી હતી. ત્યાંથી વિજયની મુલાકાતે સ્મીમેર પહોંચ્યો હતો.