હાર્દિક પટેલે કેમ આપી સુરતના પુણા પોલીસ સ્ટેશનને ઘેરવાની ચીમકી ? ભાજપ પર કર્યા કેવા પ્રહાર ?
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ચીમકી આપી છે કે ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલીમાં પાસના કાર્યકરને ઢોરમાર મારનારા ભાજપના કાર્યકરોની ધરપકડ નહીં કરાય તો 9 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવામાં આવશે.
હાર્દિકે પુણા પીઆઈને ફોન કરીને જણાવ્યું હતું કે, રેલીનો વિરોધ કરનારની ધરપકડ થઈ છે પણ વિજયને મારનારા ભાજપના કાર્યકરોની ધરપકડ થઈ નથી કે તેમના વિરુધ્ધ ગુનો નોંધાયો નથી. ભાજપ કાર્યકરોની ધરપકડ નહીં થાય તો આગામી 9મી ફેબ્રુઆરીના રોજ પુણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં સહિ કરી નીચે આવ્યાં બાદ હાર્દિકને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપે કર્યુ તેને તમે અયોગ્ય ગણાવો છો ત્યારે પાસના કાર્યકરો ઈંડા ફેંક્યા કે શાહી ફેંકી તેને કેવી રીતે જુઓ છો ? જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં મુખ્યમંત્રી પર પણ શાહી ફેંકવાના બનાવો બન્યા છે.
હાઈકોર્ટના આદેશ મુજબ આજે ત્રીજા ગુરૂવારે ક્રાઈમ બ્રાંચમાં સહી કરવા આવેલા હાર્દિકે જણાવ્યું હતું કે,ગુજરાતમાં ગુંડાગર્દી શાસન ફરી શરૂ થઈ રહ્યું છે. ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતી સારી નથી અને પાસના કાર્યકરની ધરપકડ થઈ તેમ ભાજપના હુમલાખોર કાર્યકરોની પણ ધરપકડ થાય.
હાર્દિકે એમ પણ કહ્યું કે ભાજપમાં જેટલા વધારે ગુના કરે તેને સારા પદો મળે છે, જે ઉપરથી નીચે સુધી જોઈ શકાય છે. ગુંડાઓ દ્વારા ચાલતા શાસનમાં ભાજપની ગુંડાગર્દી જોવા મળી રહી છે અને રાજ્યમાં ફરી ગુડાંગીર્દીનું શાસન સ્થપાયેલું જોવા મળે છે.
તેણે ઉમેર્યું કે, લોકસભામાં ચપ્પલો ઉછળે છે અને લોકશાહીમાં વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે પરંતુ આ રીતે કોઈને મારી ન શકાય. અમારી રેલીનો પણ વિરોધ કરવાની છૂટ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. હાર્દિકે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ગુડાઓની બોલબાલા છે.
ડો.ઋત્વિજ પટેલની રેલીનો વિરોધ કરનાર વિજય માંગુકીયાને ભાજપના ગુંડાઓએ માર માર્યો હોવાનું જણાવી હાર્દિકે કહ્યું કે, ગુજરાતમાં સ્વતંત્રતા નથી. ભાજપના લોકો ગમે તેને માર મારી રહ્યાં છે. વિજયને ભાજપના ગુંડાઓએ ઢોર માર માર્યો એ સાબિત કરે છે કે, ભાજપ ધારે તે ગમે ત્યારે કરે છે. એને કોઈ કહેવાવાળું નથી.