પાસ કાર્યકરોને કોંગ્રેસના ભાડૂતી ગુંડા કહેનારા ઋત્વિજ પટેલ ટોળું જોઈ સર્કીટ હાઉસના રૂમમાં ભરાઈ ગયા, ટોળાએ પછી શું કર્યું? જાણો વિગત
ભાજપની સ્વાગત રેલી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલીની આગળ અને પાછળ પોલીસનો મોટો કાફલો હતો, ઉપરાંત દરેક સંવેદનશીલ પોઈન્ટ ઉપર પોલીસના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હતા. છતાં પોલીસની આંખમાં ધૂળ નાંખીને રેલીમાં પાટીદારો વિક્ષેપ પાડવામાં સફળ રહ્યા હતા.
સુરતઃ સુરતમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકરોની ધમાલ અંગે ઋત્વિજે કહ્યું હતું કે, કોંગ્રેસે 3 ભાડુતી ગુંડા લાવીને હલકી મનોવૃત્તિનું દર્શન કરાવ્યું છે. હવે જો કાંકરીચાળો કરાશે તો ભાજપ યુવા મોરચો તેનો જડબાતોડ જવાબ આપશે.
પાટીદારોએ જ્યાં સુધી પાટીદારોને અનામતની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમો વિરોધ કરીશું એવો હુંકાર પણ કર્યો હતો. બીજી તરફ ભાજપની રેલીમાં વિરોધ નોંધવવા બદલ પોલીસે વિજય માંગુકિયા, બાબુભાઈ ટાણાવાળા, આશીષ દીયોદરા, કાના પટેલ, જીગ્નેશ વઘાસીયાની અટક કરી હતી.
ઋત્વિજ પટેલના આ નિવેદનથી ભડકેલા પાસના કાર્યકરોએ મોડી રાત્રે સરકિટ હાઉસમાં પહોંચી જઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. પાટીદાર સમાજના 200 જેટલા લોકો ઋત્વિજના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરવા મોડી રાત્રે ઋત્વીજ પટેલને મળવા સરકીટ હાઉસ ગયા હતા અને તેમની સાથે મુલાકાત માંગી હતી.
સરથાણા ખાતે રેલીમાં વિરોધના પગલે ઋત્વિજ પટેલે સરકિટ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તેમણે કોંગ્રેસના કાર્યકરોએ રેલીમાં વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું. પાટીદારોએ સરકિટ હાઉસ ખાતે ધસી આવીને ભાજપનો વિરોધ પાટીદાર અને પાસના કાર્યકરોએ જ નોંધાવ્યો છે તેવો હુંકાર કર્યો હતો.
જો કે ઋત્વિજ પટેલ ટોળું જોઈને પોતાના રૂમમાં ભરાઈ જતાં ટોળાએ સરકિટ હાઉસમાં હુરિયો બોલાવીને બૂમો પાડી હતી કે, અમે કોંગ્રેસીઓ નથી અમે પાટીદારો છીએ એ સમજી લેજો. આ ધમાલની જાણ થતાં પહોંચી ગયેલી પોલીસે પાટીદારોના ટોળાને વિખેરી નાંખ્યા હતા.