હાર્દિક પટેલને મંગળવાર સુધીમાં મુક્ત કરવા અલ્ટિમેટમ, નહીં છોડાય તો શું કરવા અપાઈ ચીમકી ? જાણો વિગત

પાટીદાર યુવાનોએ શુક્રવારે રાત્રે સુરતના અલગ અલગ 8 વિસ્તારોમાંથી વિઘ્નહર્તા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. હવે પુનઃ વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી ચાલી રહી છે. સુરતમાં હાર્દિકના સમર્થકોની સંખ્યા મોટી છે તેના કારણે આ એલાનના કારણે સરકારમાં ચિંતાનો માહોલ છે.
પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે ગણેશ વિસર્જન સુધીમાં એટલે કે 5 સપ્ટેમ્બર સુધીમાં જો હાર્દિક પટેલ જેલમુક્ત નહીં થાય તો મંગળવારે ગણેશ વિસર્જન યાત્રામાં પાટીદારો વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરશે. આ માટે પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી તેવું પણ તેમણે કહ્યું હતું.
આ અંગેની પોલીસ પરવાનગી માગી છે કે કેમ એવું પૂછતા ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે આ તો ધાર્મિક કાર્યક્રમ છે. તમામ ગણેશ મહોત્સવના આયોજકોએ વિસર્જન યાત્રા માટે પરવાનગી તો લીધી જ હોય છે. જેથી આ કાર્યક્રમમાં કોઈ વિશેષ પરવાનગી લેવાની થતી નથી.
તેમણે કહ્યું કે પાટીદારોના પ્રભુત્વવાળા જે વિસ્તારો છે તે વરાછા, કતારગામ, મોટા વરાછા, પૂણા, સરથાણા, અમરોલી વગેરેમાં જેટલા પણ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે તે તમામ ગણેશજીની પ્રતિમા એક જગ્યાએ એકત્ર કરવામાં આવશે અને તમામનું એક સાથે જ વિસર્જન કરવામાં આવશે.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા વિરુદ્ધ ખોટો કેસ કરી તેને ખોટી રીતે જેલમાં ધકેલવાના મામલે પાટીદારોમાં ભારે આક્રોશ છે. સુરતમાં પણ આ ઘટનાના ઉગ્ર પડઘા પડ્યા છે અને સુરતમાં પાટીદારોએ રેલી કાઢીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
હવે પાસ દ્વારા ચીમકી અપાઈ છે કે, આગામી 5-9-17 સુધીમાં એટલે કે મંગળવાર સુધીમાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાને જેલમુક્ત કરવામાં નહીં આવે તો સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મોટા પાયા પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.