સુરતમાં સરદાર પટેલની પ્રતિમાને હાર્દિક પટેલ હાર પહેરાવવા ગયો ને પોલીસે નોંધી દીધો શેનો કેસ?

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ગત દસમી જાન્યુઆરીએ વરાછારોડ મિની હિરાબજાર સર્કલ ખાતે પાસના હોદ્દેદારો, જેલમાંથી છૂટેલા ચાર પાટીદાર યુવાનો અને હાર્દિક પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
પાસ તરફથી અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, જેલમાંથી છૂટેલા પાસના ચારેય સ્ભોને આવકારવા માટે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી. આ માટે પોલીસ પરવાનગી પણ લીધી હતી. આમ છતા ભાજપના ઇશારે વરાછા પોલીસે ગુનો નોંધ્યો છે.
આ સમયે મોટું ટોળું એકઠું થતું ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી પોલીસે માનગઢ ચોક ખાતે અવરોધ થતાં પાસના કાર્યકરોને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ વિખેરાયા નહોતા. આ અંગે વરાછા પોલીસે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
દરમિયાન જાહેર રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક થતા પોલીસે અવરોધ ઊભ ન કરવા સૂચના આપવા છતા પણ ટોળું નહીં વિખેરાયાતા પોલીસે હાર્દિક પટેલ, ધાર્મિક, અલ્પેશ અને કોંગ્રેસના અશોક જીરાવાલા સહિત 200 લોકો સામે ગુનો નોંધાયા છે.
વરાછા પોલીસના જણાવ્યા પ્રમાણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન અશ્વિન સાંકડાસરીયા સાથે મારામારીના ગુનામાં પકડાયેલા પાસના ચાર કાર્યકરોની અટકાયત કરી હતી. જેમને મુક્ત કરાતા હાર્દિક સહિતના પાસના કાર્યકરો તેમને આવકારવા લાજપોલ જેલ ગયા હતા. તેમને મુક્ત કરાતા તમામ મિની હિરાબજાર ખાતે આવ્યા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.