Cyber fraud refund online: આજના ડિજિટલ જમાનામાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકોએ રાત-દિવસ મહેનત કરીને ભેગી કરેલી કમાણી સાયબર ગઠિયાઓ પળવારમાં લૂંટી લેતા હોય છે. પરંતુ જો તમે પણ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છો, તો હવે ડરવાની કે ઓફિસોના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી. ભારત સરકારના ગૃહ મંત્રાલયે (14C) નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) હેઠળ એક નવું 'મની રિસ્ટોરેશન મોડ્યુલ' (MRM) પોર્ટલ શરૂ કર્યું છે, જેનાથી તમે ઘરે બેઠા ફ્રોઝન (સ્થગિત) થયેલા તમારા પૈસાનું મફતમાં રિફંડ મેળવી શકશો.

આ પોર્ટલનો ઉપયોગ કોણ કરી શકશે?

આ પોર્ટલનો લાભ એવા જ લોકો લઈ શકશે જેમણે સાયબર ફ્રોડ થયા બાદ તરત જ NCRP પોર્ટલ અથવા 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હોય અને તેમને 14 આંકડાનો ફરિયાદ નંબર (ACK Number) મળ્યો હોય. આ સુવિધા એવા કિસ્સાઓ માટે જ છે જ્યાં સાયબર ક્રાઈમ પોલીસે તાત્કાલિક એક્શન લઈને તમારા ગયેલા પૈસા ગુનેગારના ખાતામાં ફ્રીઝ (સ્થગિત) કરી દીધા હોય.

Continues below advertisement
Continues below advertisement

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ)

MRM પોર્ટલ પર રિફંડ માટે અરજી કરવાની પ્રોસેસ એકદમ સહેલી છે. તમારે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://mrm-ncrp.mha.gov.in/ પર જાઓ.

ત્યાં 'Citizen Login' ઓપ્શન પર ક્લિક કરો.

તમે NCRP માં ફરિયાદ વખતે જે મોબાઈલ નંબર નોંધાવ્યો હોય, તેના પર આવતો OTP નાખીને લોગિન કરો.

ત્યારબાદ 'Raise Refund Request' ઓપ્શન સિલેક્ટ કરો.

તમારો 14 આંકડાનો ફરિયાદ ID દાખલ કરો અને OTP વેરીફાય કરો.

આટલું કરતા જ તમારી ફ્રીઝ થયેલી રકમ (Hold Amount) સ્ક્રીન પર દેખાશે.

હવે તમારું PAN કાર્ડ અપલોડ કરો અને તમારા બેંક ખાતાની સાચી વિગતો (એકાઉન્ટ નંબર અને IFSC કોડ) ભરો.

છેલ્લે ચેકબોક્સ પર ટિક કરીને ફોર્મ સબમિટ કરી દો.

ફોર્મ સબમિટ થતાં જ તમને એક યુનિક રિક્વેસ્ટ ID (જેમ કે MR2026...) મળશે, જેનાથી તમે ભવિષ્યમાં તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકશો.

આ પણ વાંચોઃ વિઝા ફ્રોડનો શિકાર બન્યા છો? તાત્કાલિક 1930 પર કરો કોલ! છેતરપિંડીથી બચવા પોલીસની આ 3 ટીપ્સ ખાસ વાંચો

રિફંડ માટેના જરૂરી નિયમો શું છે?

FIR વગર રિફંડ: 50,000 રૂપિયા સુધીનું રિફંડ કોઈપણ FIR કે કોર્ટના આદેશ વગર આસાનીથી મળી શકશે.

જો તમારી કુલ રકમ 50,000 થી વધુ હોય, પરંતુ તે અલગ-અલગ બેંક ખાતાઓમાં વહેંચાયેલી હોય અને કોઈ એક ખાતામાં 50,000 થી વધુ રકમ ન હોય, તો પણ FIR વગર રિફંડ મળી જશે.

FIR ક્યારે જરૂરી? જો કોઈ એક જ ખાતામાં ફ્રીઝ થયેલી રકમ 50,000 રૂપિયાથી વધુ હશે, તો રિફંડ માટે FIR કરાવવી ફરજિયાત રહેશે.

ખાસ નોંધ: આ આખી પ્રોસેસ બિલકુલ ફ્રી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રિફંડ અપાવવાના નામે જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે પૈસા માંગે, તો તેને એક પણ રૂપિયો આપવો નહીં.

આ પણ વાંચોઃ ઓનલાઈન ફ્રોડ પર 'ડિજિટલ સ્ટ્રાઈક': સરકારે 8600000 સિમ કાર્ડ કર્યા બ્લોક, ₹1000 કરોડની બચત