નવી દિલ્હીઃ રેડ ઝોનમાં રહેલા નોઇડામાં ઘરથી બહાર નીકળતી વખતે જો તમારા સ્માર્ટફોનમાં આરોગ્ય સેતુ એપ નહીં હોય તો તેને લોકડાઉનનું ઉલ્લંઘન માનવામાં આવશે. એપ નહીં હોવા પર આઈપીસીની કલમ 188 અંતર્ગત મામલો નોંધાઈ શકે છે. આ ઉપરાંત છ મહિનાની જેલ કે 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.


આરોગ્ય સેતુ કેવી રીતે કરે છે કામ

આરોગ્ય સેતુ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ 11 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. ઈન્સ્ટોલ કર્યા બાદ તેને સેટ કરવી એકદમ સરળ છે. લોકેશનને ઓલવેઝ ઓન અને બ્લૂટૂથને પણ ઓપન રાખે છે.

રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે તમારા ફોનમાં એક ઓટીપી મોકલવામાં આવશે. જે નાંખ્યા બાદ પર્સનલ ડિટેલ ભરવાની હોય છે. નામ, ઉંમર, ટ્રાવેલ ડીટેલ્સ ઉપરાંત હેલ્થ સાથે સંકળાયેલા કેટલાક સવાલો પૂછવામાં આવે છે. જેનો જવાબ આપ્યા બાદ 20 સેકંડમાં સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ લઈ શકાય છે.

આ એપમાં સેલ્ફ ટેસ્ટના ઓપશન દ્વારા હેલ્થ ઈન્ફોર્મેશન માંગવામાં આવશે. જે માહિતીભર્યા બાદ એપ તમને કોરોનાના લક્ષણ છે કે નહી તે બતાવશે. જો કોરોના લક્ષણ હોય તો એપ સરકારની પાસે તમારો ડેટા મોકલે છે. જે બાદ હેલ્થ મિનિસ્ટ્રી તરફથી આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આરોગ્ય સેતુ એપ યૂઝર્સ જો કોઈ કોરોના સંક્રમિત લોકો પાસેથી પસાર થાય કે કોરોના લક્ષણ ધરાવતો વ્યક્તિ તમારી આસપાસ હોય તો તેની જાણકારી પણ નોટિફિકેશન દ્વારા મોકલશે.