નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશમાં મોબાઈલ ફોન નંબરિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાનો વિચાર કર્યો છે. અહેવાલ અનુસાર ટ્રાઈ હાલના મોબાઈલના 10 ડિજિટની જગ્યાએ 11 ડિજિટ કરવા માટે સૂચનો મગાવ્યા છે. ટ્રાઈએ મામલે એક ડિસ્કશન પત્ર જારી કર્યો છે, જેનું ટાઈટલ છે ‘એકીકૃત અંક યોજનાનો વિકાસ’.


આ યોજના મોબાઇલ અને લેન્ડ લાઈન એમ બન્ને પ્રકારની લાઇનો માટે છે. પરિપત્રમાં કહેવામા આવ્યુ છે કે જો એવુ માનીને ચાલીએ કે ભારતમાં 2050 સુધી વાયરલેસ ફોનની તીવ્રતા 200 ટકા થઇ જશે. એટલે કે દરેક વ્યક્તિ પાસે સરેરાશ બે મોબાઇલ કનેક્શન હશે. તો આ દેશમાં સક્રિય મોબાઇલ ફોનની સંખ્યા 328 કરોડ સુધી પહોંચી જશે.

હાલમાં દેશમાં 120 કરોડ ફોન કનેક્શન છે. ટ્રાઈનો અંદાજ છે કે, અંકોનો જો 70 ટકા ઉપયોગ માનીને ચાલીએ તો તે સમય સુધી દેશમાં મોબાઇલ ફોન માટે 468 કરોડ નંબરની જરૂર હશે.

સરકારે મશીનો વચ્ચે પરસ્પર ઇન્ટરનેટ સંપર્ક/ઇન્ટરનેટ ઑફ ધ થિંગ્સ માટે 13 અંકો વાળા નંબરની સીરીઝ પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે.

આ પહેલા ભારતે પોતાની નંબરિંગ સિસ્ટમાં બે વખત ફેરફાર કર્યો છે, જે 1993 અને 2003માં થયો હતો. તે સમયે 2003માં નંબરિંગ પ્લાનથી 75 કરોડ નવા ફોન કનેક્શન ઉભા કરવામાં આવ્યા હતા. તેમાંથી 45 કરોડ સેલ્યૂલર અને 30 કરોડ બેસિક અથવા લેન્ડલાઈન ફોન નંબર સામેલ હતા.