નવી દિલ્હીઃ દેશ વિરોધી અભિયાન ચલાવનારી 40 વેબસાઇટો પર ભારત સરકારે મોટી એક્શન લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 40 વેબસાઇટોને તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી છે. એટલે કે વધુ 40 વેબસાઇટો પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફૉર જસ્ટીસ સાથે જોડાયેલી 40 વેબસાઇટો પર અલગાવવાદી ગતિવિધિઓનુ સમર્થન કરવા માટે સરકાર દ્વારા રોક લગાવવામાં આવી દીધી છે. આ માહિતી ગૃહ મંત્રાલયે રવિવારે આપી હતી.


ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), 1967 હેઠળ શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એક ગેરકાયદેસર સંસ્થા છે. તેમણે પોતાના હેતુ માટે સમર્થકોની નોંધણી કરવાની ઝુંબેશ શરૂ કરી હતી.

ગૃહ મંત્રાલયની ભલામણ પર ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનિક મંત્રાલયે (MEITY) માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ એસએફજેની 40 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.



ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MEITY) એ ભારતમાં સાયબર સ્પેસને મોનિટર કરવા માટેની નોડલ એજન્સી છે. ગત વર્ષે ગૃહ મંત્રાલયે દેશ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ માટે એસએફજે પર પ્રતિબંધ મૂક્યો હતો. એસએફજેએ તેના અલગાવવાદી એજન્ડા હેઠળ શીખ જનમત સંગ્રહ પર ભાર મૂક્યો હતો.

અન્ય એક અધિકારીએ કહ્યું કે આ સંગઠન ખાલિસ્તાનના ઉદ્દેશ્યને ખુલ્લેઆમ સમર્થન આપે છે અને આમ કરવાથી ભારતની સર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પડકારવામાં આવે છે.