Navratri 2022: નવરાત્રીના તહેવારને લઇને વેપારી વર્ગ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખાણીપીણીની હોટલ, રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની મંજૂરી આપી છે.


કોરોનાના 2 વર્ષ બાદ રાજ્યમાં નવરાત્રીનું સેલિબ્રેશન ધૂમધામથી થઇ રહ્યું છે. ત્યારે ખાણી પીણીના વેપારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા નવરાત્રિના નવેય દિવસ રાત્રે  12 વાગ્યા બાદ પણ રેસ્ટોરન્ટ, હોટેલ ઢાબાને ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે. ઉલ્લેખનિય છે કે 2 વર્ષ સુધી નવરાત્રીનું સેલિબ્રેશન ન થતાં અને લોકડાઉનના કારણે  વેપારી વર્ગને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.જ્યારેઆ વર્ષે 2 વર્ષ બાદ નવરાત્રીનું રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્ય ગૃહમંત્રીએ ખાણી પીણીની હોટેલને 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે.  


Navratri 2022: નવરાત્રી અને દશેરામાં લાઉડ સ્પીકર વગાડવાનો સમય નક્કી થયો, ગૃહ વિભાગે કર્યો પરીપત્ર


Navratri 2022: ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવાશે. કોરોના મહામારી બાદ આ વર્ષે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર નવરાત્રી દરમિયાન ગરબા યોજાશે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતાં લાઉડ સ્પીકરના સમય અંગે પરીપત્ર જાહેર કર્યો છે.


રાત્રે 10 થી 12 સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશેઃ


ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે. આ સાથે દશેરના દિવસે પણ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. જો કે, આ પરીપત્રમાં કહેવાયું છે કે, આ જાહેરનામાં પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે. 


10 વાગ્યા સુધી જ ગરબા લાઉડસ્પિકરનો નિર્ણય રાજકોટ શહેર પોલીસે પરત ખેંચ્યો, હવે કરી આ જાહેરાત


Navratri 2022: રાજકોટ શહેરમાં આવનારી નવરાત્રીની ઉજવણી અંગે શહેર પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર ચાલુ રાખવાની સુચના અપાઈ હતી. જો કે, હવે રાજકોટ શહેર પોલીસે આ નિર્ણય પરત ખેંચી લીધો છે.


હવે રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની પરવાનગીઃ


રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે માટે રાહતના સમાચાર છે. રાજકોટ શહેર પોલીસે આ પહેલાં 10 વાગ્યા સુધી જ ગરબા માટેના લાઉડ સ્પિકર ચાલુ લાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે, હવે સુચના પ્રમાણે 12:00 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવેલી છે જે પ્રમાણે રાજકોટમાં પણ 12:00 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવશે. થોડીવાર પહેલા 10 વાગ્યાનો નિર્ણય જાહેર કરાયો હતો જોકે બાદમાં પોલીસ કમિશનર દ્વારા 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. 


રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન ગરબા માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચનાઓ જાહેર કરાઈ હતી. આ સુચનાઓ અંગે પોલીસ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ રાત્રીના 10 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખવાની પરવાનગી અપાઈ હતી. રાત્રીના 10 વાગ્યા બાદ પોગ્રામ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી પણ કરવાનો પણ આદેશ અપાયો હતો. જો કે, હવે આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.