કોંગ્રેસના નેતા કહે છે દરેક ઘરમાંથી અફઝલ નીકળશે: લુણાવાડામાં મોદી
સભાને સંબોધતા મોદીએ વધુમાં કહ્યું, કોઈ લાજ-શરમ નથી. કોઈ બંધન નથી. અટકાવવું, લટકાવવું અને ભટકાવવું કોંગ્રેસનો સ્વભાવ છે. દેશના દરેક રાજ્યોમાં રિઝર્વેશનના નામે જનતાને ખોટા પ્રલોભનો આપવાનું કામ કોંગ્રેસ કરે છે.
લુણાવાડાઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લુણાવાડામાં રેલીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, સમગ્ર દેશમાંથી લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ગુજરાતના લોકો પણ તેને રિજેક્ટ કરી દેશે. કોંગ્રેસના નેતાએ મારા અંગે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેવો લોકો તેમના દુશ્મનો સામે પણ નથી કરતાં. મોદીએ કહ્યું કે, કોંગ્રેસના એક યુવા નેતા છે સલમાન નિઝામી. તેઓ કાશ્મીરના રહેવાસી છે. તેમણે એક વખત પૂછ્યું હતું કે મોદીના મા-બાપ કોણ છે? આવી ભાષા તો કોઈ દુશ્મનો માટે પણ ઉપયોગ નથી કરતાં. જે બાદ પીએમે કહ્યું, હું કહેવા માંગુ છું કે મોદીની મા ભારત માતા છે. મોદીના પિતા ભારત દેશ છે. આ દેશે મને આટલો મોટો કર્યો. હવે દેશની સેવા કરવી આ દીકરાની ફરજ છે. મોદીએ કહ્યું સલમાન નિઝામી સ્ટાર કેમ્પેનર છે. જે ગુજરાતમાં રાહુલ ગાંધી માટે વોટ માંગે છે. તેણે દેશની સેનાનું અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતાએ આઝાદ કાશ્મીરની માંગ કરે છે. તેઓ કહે છે કે દરેક ઘરમાંથી અફઝલ નીકળશે. શું તમારે અફઝલ જોઈએ છે, જેને આ દેશની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.