Ahmedabad Local Body Election : અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનું સ્ફોટક નિવેદન

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના એક આક્રમક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ વેજલપુર વિધાનસભામાં બીજું 'ચંડોળા તળાવ' નહીં બનવા દે. તેમણે મતદારો સામે સીધો વિકલ્પ મુકતા કહ્યું કે, જેમને ગાર્ડન અને સુવિધાઓ જોઈએ છે તે ભાજપને મત આપે અને જેમને ચંડોળા જેવી સ્થિતિ જોઈએ છે તે કોંગ્રેસને મત આપે. દબાણ કરનારાઓ અને બુટલેગરો સામે લાલ આંખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, તેઓ બુટલેગરો સાથે બેસીને વોટ લેનારા માણસ નથી. પોતાની છબી 'મરદ માણસ' તરીકે રજૂ કરતા ઠાકરે જણાવ્યું કે જે વાતો તેઓ અહીં બોલે છે તે જ વાતો દરેક જગ્યાએ ડર્યા વગર કહેશે. તો જુહાપુરાની પણ અમિત ઠાકરે કરી વાત..  જાહેર સભામાં જુહાપુરા અને જોધપુર વિસ્તારની તુલના કરીને અત્યંત આક્રમક નિવેદન આપ્યું. તેમણે મતદારોને સીધો સંદેશ આપતા કહ્યું કે જો તેઓ જુહાપુરાને ચંડોળા જેવું ગીચ અને અવિકસિત રાખવા માંગતા હોય તો કોંગ્રેસ કે AIMIM ને વોટ આપે, પરંતુ જો તેને જોધપુર જેવો આધુનિક અને વિકસિત વિસ્તાર બનાવવો હોય તો ભાજપને પસંદ કરે. ઠાકરે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને AIMIM જેવી પાર્ટીઓ ધર્મના નામે રાજકારણ કરીને જુહાપુરાના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર રોડ, ગટર, પાણી અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધાઓ આપવા તૈયાર છે, પણ તે માટે મતદારોએ વિકાસની રાજનીતિને સ્વીકારવી પડશે. જોધપુર અને બોડકદેવના વિકાસના ઉદાહરણો આપીને તેમણે જુહાપુરાના લોકોને આહ્વાન કર્યું કે હવે ૨૫ વર્ષના પછાતપણાને છોડીને ભાજપ સાથે જોડાઈને ચાર ગણો વિકાસ મેળવે. આ નિવેદન બાદ હવે સ્થાનિક રાજકારણમાં વિવાદ અને ચર્ચાઓની મોસમ જામી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola