Junagadh | જૂનાગઢમાં એસટી બસના ડ્રાઈવરને માર્યો માર, ચારેય લોકો નશામાં હોવાનો કંડક્ટરનો આરોપ
જૂનાગઢમાં એસટી બસના ડ્રાઈવર પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ડ્રાઈવર અને કંડક્ટરના આરોપ મુજબ, હુમલો કરનારાઓમાં એક વ્યક્તિ પોલીસ કર્મીના સંબંધી હોવાનું કહેવાઈ રહ્યું છે.
માહિતી અનુસાર, ગાંધીનગરથી સોમનાથ જતી એસટી બસ વડાલ પુલ પાસે પહોંચી હતી ત્યારે એક કાર બસની આગળ આડી ઊભી રાખવામાં આવી હતી. આ બાદ બસ રોકાવી ડ્રાઈવર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી સુધી મામલો પહોંચ્યો હતો. કંડક્ટરના જણાવ્યા મુજબ, કારમાં સવાર ચારેય લોકો નશાની હાલતમાં હતા અને તેમણે બસ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું. હુમલામાં બસના ડ્રાઈવરને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, ઈજાગ્રસ્ત ડ્રાઈવરે આરોપ લગાવ્યો છે કે પોલીસ તેમની ફરિયાદ લઈ રહી નથી. ઘટનાને લઈને એસટી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.