
New FASTag Rules | આજથી FasTagના નવા નિયમ લાગું | જો આ ન કર્યું તો લાગશે દંડ
New FasTag Rules: ફાસ્ટેગનો નવો નિયમ આજથી એટલે કે સોમવાર (17 ફેબ્રુઆરી 2025)થી લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ પર વધારાનો દંડ વસૂલવામાં આવશે. આ નિયમ લાગુ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય ફાસ્ટેગમાં સમસ્યાઓના કારણે ટોલ પર વાહનોની લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને અનુકૂળ બનાવવાનો છે.
કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ફાસ્ટેગ ઈકોસિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જારી કર્યા છે, જેનો ઉદ્દેશ્ય ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવાનો છે.
નવા નિયમો શું કહે છે ?
નવા નિયમો હેઠળ, જો વાહન ટોલ પાર કરે તે પહેલાં ફાસ્ટેગ 60 મિનિટથી વધુ સમય સુધી નિષ્ક્રિય રહે છે અને ટોલ પાર કર્યાના 10 મિનિટ બાદ સુધી નિષ્ક્રિય રહે છે, તો ટ્રાન્ઝેક્શનને નકારી કાઢવામાં આવશે. સિસ્ટમ 'એરર કોડ 176' લખીને આવી ચુકવણીને નકારશે.
વધુમાં, ટોલ ચૂકવણીને સરળ બનાવવા અને વિવાદો ઘટાડવા માટે ચાર્જબેક પ્રક્રિયા અને કૂલિંગ પિરિયડ તેમજ ટ્રાન્ઝેક્શન નકારવાના નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
નવી માર્ગદર્શિકા અનુસાર, જો ટોલ રીડર પરથી વાહન પસાર થયાના 15 મિનિટથી વધુ સમય પછી ટોલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, તો ફાસ્ટેગ વપરાશકર્તાઓને વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે.
અપડેટેડ નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) માર્ગદર્શિકા મુજબ, જો કોઈ વ્યવહારમાં વિલંબ થાય અને વપરાશકર્તાઓના ફાસ્ટેગ એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હોય, તો ટોલ ઓપરેટર જવાબદાર રહેશે.
અગાઉ, વપરાશકર્તાઓ ટોલબૂથ પર જ ફાસ્ટેગ રિચાર્જ કરીને આગળ વધી શકતા હતા. નવા નિયમ બાદ હવે યુઝર્સે પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરાવવું પડશે.
NPCIના લેટેસ્ટ ડેટા અનુસાર ડિસેમ્બરમાં ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 6 ટકા વધીને 38.2 કરોડ થઈ છે, જે નવેમ્બરમાં 35.9 કરોડ હતી. ઉપરાંત, ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 9 ટકા વધીને રૂ. 6,642 કરોડ થયું છે, જે નવેમ્બરમાં રૂ. 6,070 કરોડ હતું.