ગીર સોમનાથ: ગરમીના દિવસોમાં ઠંડક આપતું અમૃત ફળ એવા તરબૂચમાં દવાના છંટકાવને લઈ લોકો તરબૂચ નામથી દૂર ભાગી રહયા છે ત્યારે ગીરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચ ઉગાડી લાખોની કમાણી કરી છે.


ખાતર કે દવાના છંટકાવ વિના જ તરબૂચ ઉગાડ્યા.


હાલ ગરમીના દિવસોમાં લોકો તરબૂચ ખાવાનું પસંદ કરે છે પરંતુ હવે ઘણા લોકો તરબૂચને ઇગ્નોર કરી રહ્યા છે. જેની પાછળનું કારણ છે તેમાં દવ નો ખુબ મોટો છંટકાવ થઈ રહ્યો છે. તરબૂચ પકવતા લોકો પૈસા કમાવાની લાલચ અનલિમિટેડ દવાનો છંટકાવ કરતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેના કારણે અસર પડી રહી છે પરંતુ ગીર સોમનાથના કોડીનારના ડોળાસા ગામના ખેડૂત ચંદુભાઈ મોરીએ પોતાના એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચ પકવવાનું નક્કી કર્યું અને એક પણ રાસાયણીક ખાતર કે દવાના છંટકાવ વિના જ તરબૂચ ઉગાડ્યા.




ચંદુભાઇનું કહેવું છે કે, તેમને તરબૂચને મીઠા અને મધુર સ્વાદ આપવા માટે શેરડીના રસનો ઉપયોગ કર્યો હતો. ટપક પદ્ધતિ સાથે 400 લીટર શેરડીનો રસ એક એકર જમીનમાં તરબૂચના છોડને આપવામાં આવ્યો હતો. શેરડીના રસના કારણે પુષ્કળ મધમાખી આ ખેતરમાં આવીને તરબૂચની મધુરતામાં વધારો થયો. જો કે, આ તરબૂચ અન્ય તરબૂચની તુલનાએ નાના થાય છે પરંતુ તેના ખાવાના સ્વાદમાં મોટો ફરક હોય છે. એક એકરમાં 10 ટન તરબૂચનું ઉત્પાદન આ ખેડૂતે મેળવ્યું છે.


અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો


તરબૂચ ખાવાના શોખીનો હવે બજારમાં નહિ પણ ચંદુભાઇની વાડીની મુલાકાતે આવે છે અને અહીં જ રૂપિયા ચૂકવી પોતાના પરિવાર માટે પ્રાકૃતિક રીતે પકાવેલા તરબૂચ લે છે. કેવાનો મતલબ એ છે કે લોકો હવે સ્વાસ્થ્યને લઈને સભાન બની રહ્યા છે પરંતુ તેને ઓર્ગેનિક ફ્રુટ મેળવવું મુશ્કેલ બન્યુ છે ત્યારે ચંદુભાઈની પહેલ અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની છે. ડોલાસા ગામના ખેડૂત ચંદુભાઇની પહેલને કેવિકેના કૃષિ અધિકારીએ પણ બિરદાવી છે. તેમને કહ્યુ કે, શેરડીના રસમાં અનેક તત્વો છે જે તરબૂચને ફાયદો કરાવે છે મીઠા અને મધુર બનાવે છે. અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હવે ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહયા છે.