Gujarat Agriculture News: ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે વધુને વધુ યુવાનો આગળ આવે તે માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક સેંકડો વિદ્યાર્થીઓને લાભ મળશે. કૃષિ યુનિવર્સિટીઝ હેઠળ ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાક્રમમોમાં હાલની બેઠકો ઉપરાંત 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવશે.


આ અંગેરાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદની એક મહત્વની બેઠક ગાંધીનગર ખાતે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં આગામી વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરીને ૩૦૦ જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે, રાજ્યના કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને લાભ થશે. આ ઉપરાંત વિદેશના વધુ વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. જેના દ્વારા અન્ય દેશોની શૈક્ષણિક સંસ્થાઓ સાથે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન વધુ મજબુત થશે. કૃષિ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય વધુ સુદ્રઢ બને તે માટે જરૂરી ભરતી પ્રક્રિયાને પણ વેગ આપવાનું નક્કી કરાયું છે. 






રાઘવજી પટેલે કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણ તથા ખેડૂતો માટે વિસ્તરણ પ્રવૃત્તિઓની સાથે વિવિધ પાકોમાં સંશોધન કાર્યવાહી હાથ કરવામાં આવે છે, જોકે, હજુ પણ વધુ ઉત્કૃષ્ટ સંશોધન કરી ખેડૂતોને સીધો ફાયદો થાય તે મુજબ આગામી વર્ષોમાં સંશોધન કાર્યો હાથ ધરાશે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ કૃષિ યુનિવર્સિટીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય અને તેનો સીધો જ લાભ ખેડૂતો-વિદ્યાર્થીઓને મળે તે માટે પ્રયત્નશીલ રહેવા જરુરી સૂચનો કર્યાં હતા. આ બેઠકમાં ખેતી નિયામક, બાગાયત નિયામક, પશુપાલન નિયામક, આણંદ, નવસારી, જુનાગઢ તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.