Natural Farming:  ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી ખેડૂતો ખેતરમાં આડેધડ રાસાયણિક ખાતરો છાંટતા હોય છે. જેના કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના વધારે પડતાં ઉપયોગથી અળસિયાની સંખ્યા ઓછી થઈ જાય છે અને તેની અસર ખેડૂતોના પાક પર થાય છે.  અળસિયા ખેડૂતો માટે કુદરત તરફથી એક મહામૂલી દેન છે. આજે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની જમીનમાં અળસિયાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અળસિયાને ખેડૂતનું કુદરતી હળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને ખેડૂતનો સાચો મિત્ર પણ માને છે.

જમીનના આંતરડા તરીકે પણ ઓળખાય છે

અળસિયું એટલે કે ખેડૂતોનો ઘનિષ્ટ મિત્ર, જેને 'જમીનના આંતરડા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પેટમાં રહેલા સૂક્ષ્મ જીવોની રાસાયણિક ક્રિયા અને એ ક્રિયાને કારણે જમીનમાં સૂક્ષ્મ તત્વોની ઉપલબ્ધતા વધે છે. અળસિયાનું ખાતર પોષક તત્વોથી ભરપૂર ઉત્તમ કાર્બનિક ખાતર તરીકે ગણાય જે ખેતર માટે ઉત્તમ હોય છે.

અળસિયાના ખાતરની રાસાયણિક સંરચના

ઘટક

માત્રા

નાઈટ્રોજન

05-1.5 %

ફોસ્ફરસ

0.1.-0.30 %

પોટેશિયમ

0.15 – 0.50 %

કેલ્શિયમ

22.67 – 47.60 %

મેગ્નેશિયમ

એમ.જી / 100 ગ્રામ

કોપર

2.0-9.50 એમ.જી / કિ.ગ્રા

આયરન

2.0 -9.30 એમ.જી / કિ.ગ્રા

ઝીંક

5.0 – 11.50 એમ.જી / કિ.ગ્રા

સલ્ફર

128 – 548 એમ.જી / કિ.ગ્રા

ક્યાં જોવા મળે છે સૌથી વધુ હાજરી

સામાન્ય રીતે અળસિયાના શરીરનો આગળનો છેડો અણીદાર અને પાછળનો છેડો બુઠ્ઠો હોય છે. અળસિયાને હાડકા, પગ, આંખ કે કાન હોતા નથી. અળસિયાના જીવનકૃમમાં ઇંડા, અવસ્થા, બાલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા હોય છે. તેને ઠંડક વધારે પસંદ હોય છાંયડામાં જયાં ભેજ હોય ત્યાં અળસિયાની હાજરી જોવા મળે છે.

ખેડૂતનો સૌથી મોટો મિત્ર અળસિયા

  • પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતના સૌથી મોટા મિત્ર છે
  • પાક્તિક ખેતીમાં વપરાતી જમીનમાં અળસિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે
  • અળસિયા જમીનને ફળદ્રુપ અને છિદ્રાળુ બનાવે છે
  • જે ખેતરમાં અળસિયા હોય ત્યાં વરસાદ પડે ત્યારે પરપોટા થાય છે અને ખેતરનું બધુ પાણી આ છિદ્રો મારફતે જમીનમાં જાય છે. આમ ખેતરનું પાણી ખેતરમાંનો સિદ્ધાંત ફળિભૂત થાય

અળસિયા ખેડૂતોને કઇ રીતે ઉપયોગી છે?

અળસિયાને પોતાનો ખોરાક શોધવાનો હોવાથી તેમજ પ્રજનન માટે જમીનમાં સતત હલનચલન કરતા જ રહે છે. એક અળસિયુ દિવસમાં 8 થી 10 વખત જમીનની ઉપર આવે છે. આમ દિવસમાં 16થી 20 કાણા પડે છે. જેથી જમીનનું ઉપરનું પડ કુદરતી રીતે ખેડાઇને છિદ્રાળુ બને છે. પરિણામે જમીનમાં હવાની અવરજવર વધે છે. જેથી જમીનની ભેજધારણ કરવાની શક્તિ વધે છે. કારણ કે સેન્દ્રિય પ્રદાર્થ બધી માટીમાં સરખા પ્રમાણમાં ભળી જાય છે.