Gujarat Agriculture News: રાજ્યમાં થોડા સમયમાં જ ચોમાસું વાવેતરના શ્રીગણેશ થશે. આ દરમિયાન ખેડૂતોએ કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ શું સાવચેતી રાખવી જોઈએ તેને લઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ, લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેમની પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં


બિયારણ, રાસાયણિક ખાતરોની સાથે અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવે તો અહીં કરો સંપર્ક


બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે અન્ય ખાતરો ફરજીયાત અપાતા હોવાની બાબત ધ્યાને આવે તો અમદાવાદ જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવા અનુરોધ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં સંભવિત ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરૂ થાય તેમ છે. કપાસ પાકમાં પીયતની સગવડતા હોય તે ખેડૂતો આગોતરું વાવેતર કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે.


કોની પાસેથી ખરીદશો બિયારણ


બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપીંડીનો અવકાશ ન રહે.

અમદાવાદ જિલ્લામાં કપાસ પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જેથી સંભવિત જોખમ નિવારી શકાય છે.

આમ, બિયારણ અને ખાતરનું જરૂરિયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા વિનંતી છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સિવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો અમદાવાદ જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવાયું છે.