ગાંધીનગરઃગુજરાતમાં આગામી 3 માર્ચે બજેટ રજૂ કરવા જઈ રહી છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. 121 દિવસના શાસનની ઉજવણી કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું વર્ષ 2022-23 માટેનું બજેટ સત્ર 2જી માર્ચના બુધવારથી શરૂ થશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. 3જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. 


રાજય સરકારનો કૃષિલક્ષી મહત્વનો નિર્ણય છે. રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.  રાજ્યના ખેડૂતોની માંગણી અને રજૂઆતો પરત્વે કૃષિ મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવો અપાવવા કટિબદ્ધતા દાખવી ને ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. 


રાજ્યના કૃષિ મંત્રીએ રૂબરૂ દિલ્હી જઈ રાજ્યમા થયેલ ચણાના મબલખ પાકની ઉત્પાદકતાને ધ્યાને લઈને ખેડૂતોની લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોચાડી હતી આટલેથી જ ન અટકતા તેઓએ સતત કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમરના સંપર્કમાં રહી ચણાનો વધુમાં વધુ જથ્થો લઘુતમ ટેકાના ભાવથી ખરીદાય તે માટે સઘન પ્રયત્નો કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કેન્દ્ર સરકારને ગુજરાતના ખેડૂતો પાસેથી વધુમાં વધુ ચણાનો જથ્થો ખરીદાય તે માટે પ્રયત્ન કરેલ હતા. જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ચાર લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવા મંજુરી આપી છે. 


તેમણે ઉમેર્યુ કે,ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાંથી ખરીદવાના થતા ચાર લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાને કારણે રાજ્ય સરકારે ખેડૂત પાસેથી ધારણ કરેલ જમીનની મર્યાદામાં વીઘે બાર મણ લેખે ૧૨૫ મણ ચણા ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી કેન્દ્રની નોડલ એજન્સી નાફેડ વતી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ૧૮૭ કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવનાર છે. 


રાજયના કિસાનો માટે આ નિર્ણય અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓ અને સાંસદોનો કિસાનો વતી ખૂબ ખૂબ આભાર માન્યો છે રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.