Wheat Export Ban: દેશમાં કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકને થયેલા નુકશાનને ધ્યાનમાં રાખીને ભારતે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં સતત વધારો અને અપૂરતા સ્થાનિક પુરવઠાને કારણે ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. ભારતીય ખાદ્ય નિગમના વડા અશોક કે મીણાએ આ નિવેદન આપ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, તાજેતરના ભૂતકાળમાં પડેલા વરસાદને કારણે ઘઉંના ઉત્પાદનને અસર નહીં થાય અને ઘઉંનું ઉત્પાદન નિશ્ચિતપણે તેનો લક્ષ્યાંક હાંસલ કરશે. અશોક કે.



મીનાએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં 10,727 ટનની ખરીદી કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. હકીકતમાં, મે 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 13 મે 2022ના રોજ સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતાં સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત સરકારે દેશમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિનું સંચાલન કરવા અને પડોશી અને સંવેદનશીલ દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. વૈશ્વિક બજારમાં ફેરફાર અને ઘઉંના પૂરતા પુરવઠાના અભાવને કારણે ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ગયા વર્ષે સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ એવું માનવામાં આવતું હતું કે, ઘઉંના ભાવમાં નરમાશ આવશે પરંતુ તેમ થયું નહીં. આમ છતાં ઘઉંના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે ઘઉંના આસમાનને આંબી રહેલા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ કર્યા પછી પણ ભાવમાં નરમાઈ આવી નથી. લોટ હજુ સસ્તો થયો નથી. રિટેલ માર્કેટમાં લોટના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. પેક્ડ બ્રાન્ડેડ લોટનું 10 કિલોનું પેકેટ હજુ પણ છૂટક બજારમાં 410 થી 426 રૂપિયામાં મળે છે. એટલે કે એક કિલો લોટ 40 થી 43 રૂપિયા પ્રતિ કિલો મળે છે.

આ રવિ સિઝનમાં ઘઉંની બમ્પર ઉપજની અપેક્ષા છે. પરંતુ ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો અને માર્ચમાં કમોસમી વરસાદ બાદ ઘઉંના પાકની ચિંતા વધવા લાગી છે. તાપમાનમાં વધારો અને કમોસમી વરસાદ ઘઉંના ઉત્પાદનને અસર કરી શકે છે, તેથી જ સરકાર ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ રાખવા માંગે છે.